મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પરમબીર સિંઘના ગંભીર આરોપો વચ્ચે NCP બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેમની પાસેથી રાજીનામું નહી લેવાય.
ગૃહમંત્રી અનિલ દેશમુખની નહીં થાય હકાલપટ્ટી
NCP ની બેઠકમાં લેવાયો નિર્ણય, જયંત પાટિલે આપી જાણકારી
શરદ પવારના ઘરે બેઠક મળી હતી, જેમાં નિણર્ય લેવાયો
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘના પત્ર પછી ઉદ્ધવ સરકાર દબાણમાં છે, આવી સ્થિતિમાં અનિલ દેશમુખનું પદ જઈ શકે છે, તેવુ સૂત્રોએ જણાવ્યું હતું, પરંતુ આજે NCP સુપ્રીમો શરદ પવારના ઘરે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાલ પૂરતું અનિલ દેશમુખનું રાજીનામું નહીં લેવાય.
આ મામલે તપાસ ચાલી રહી છે, દોષીઓ પર કાર્યવાહી કરવામાં આવશે : જયંત પાટિલ
આ મુદ્દે આઘાડી ગઠબંધનના નેતાઓની શરદ પવારના ઘરે બેઠક યોજાઇ હતી, જેમાં કોંગ્રેસની તરફથી કમલનાથ અને શિવસેના તરફથી સંજય રાઉત આવ્યા હતા. આ બેઠક પછી NCP નેતા જયંત પાટિલે કહ્યું હતું કે હાલમાં ગૃહમંત્રીના રાજીનામાંની જરૂર નથી, ATS અને NIA આ મામલે તપાસ કરી રહ્યા છે, કોઈ પણ અધિકારી ભલે જ કેટલો મોટો કેમ ન હોય પણ રાજ્ય સરકાર તપાસ કરશે અને દોષીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ પત્રથી તપાસને આડે પાટે ચડાવવાનો પર્યટન કરવામાં આવી રહ્યો છે, માટે હાલમાં ગૃહમંત્રી દેશમુખના રાજીનામાંની જરૂર નથી.
સરકારમાં હલચલ તેજ થઈ ગઈ હતી
આની પહેલા સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં સરકારમાં સામેલ ત્રણ પક્ષોની વચ્ચે હાલમાં ભારે વિખવાદ ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું હતું, ખાસ તો મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘના મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને લઈને કરાયેલા 100 કરોડના કલેક્શનના આક્ષેપો પછી મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર દબાણમાં છે, ગૃહમંત્રી દેશમુખના રાજીનામાંની વધતી જતી માંગણી વચ્ચે સરકાર પર કોઈક નક્કર કાર્યવાહી જરવા માટેનું દબાણ વધતું જઈ રહ્યું છે, સરકારના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અને આ વિષયના નિકાલ માટે પણ આજે સરકારમાં સામેલ ત્રણ પાર્ટીઓની બેઠક મળી હતી.
મહત્વનું છે કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘની હોમગાર્ડમાં બદલી કરાયા પછી તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરેને ગૃહમંત્રી અનિલ દેશમુખ પર દર મહિને 100 કરોડ રૂપિયાની ખંડણી ઉઘરવવાનો આરોપ લગાવ્યો હતો, આ લેટરના મીડિયામાં જાહેર થયા બાદ હોબાળો મચ્યો હતો અને ઉદ્ધવ સરકાર પર એક્શનનું દબાણ વધ્યું હતું. આ મામલે જો કે અનિલ દેશમુખે પરમબીર સિંઘના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા, અને પોતાને બચાવવા પૂર્વ કમિશનર તેમના પર આરોપો લગાડી રહ્યા હોવાનું કહ્યું હતું.
સીએમ ઠાકરે પાસે નિર્ણય લેવાનો અધિકાર : શરદ પવાર
આ મુદ્દે વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ આકરી પ્રતિક્રિયા આપીને ગૃહમંત્રીના રાજીનામાંની માંગણી કરી હતી, અને કહ્યું હતું કે સીએમ ઠાકરેને કોઈ પણ ભોગે પોતાની સરકાર બચાવવી છે, પરંતુ આ મુદ્દે શરદ પવારે પણ એમ જણાવ્યું હતું કે ગૃહમંત્રી પર લાગેલા આરોપો ગંભીર છે, જો કે સાથે જ તેમણે કહ્યું હતું કે સચિન વાઝેની ફરીથી નિયુક્તિ ગૃહમંત્રી દેશમુખ નહીં પણ પરમબીર સિંઘના આદેશ પર જ થઈ હતી, સાથે જ તેમણે કહ્યું હતું કે રાજીનામાંને લઈને નિર્ણય લેવાની હક સીએમ ઠાકરે પાસે છે અને આ વિષયમાં તપાસ પછી જ કોઈ નિર્ણય લેવાશે. જો કે સરકારના અસ્તિત્વ પર કોઈ ખતરો હોવાની વાતને તેમણે નકારી કાઢી હતી. જો કે આજની બેઠકમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે અનિલ દેશમુખનું રાજીનામું નહીં લેવામાં આવે.