લૉકડાઉન છતા દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી 1 લાખ 12 હજારથી વધારે લોકો પોઝિટિવ આવ્યા છે, જ્યારે 3400થી વધારે લોકોના અત્યાર સુધીમાં મોત થઇ ચૂક્યા છે. ત્યારે કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં આંકડો 40 હજારને પાર પહોંચી ચૂક્યો છે.
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસની સંખ્યા 1,12,359 થઇ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસનો આંકડો 41,642 પર પહોંચ્યો
સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 2345 નવા કેસ સામે આવ્યા અને સંક્રમણનો આંકડો 41,642 પર પહોંચી ગયો છે. જ્યારે મુંબઇમાં કોરોના વાયરસના 1382 નવા કેસ સાથે કુલ સંક્રમણના કેસની સંખ્યા 25 હજારને પાર કરી ગઇ છે.
બીજી તરફ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વિસ્તાર મુંબઇની ધારાવીમાં ગુરુવારે કોરોના વાયરસના 47 નવા કેસ સામે આવ્યા. ધારાવીમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 1425 થઇ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ધારાવીમાં ગત 24 કલાકમાં સંક્રમણથી કોઇપણ દર્દીના મોત નથી થયા, તેથી મૃત્યુ પામનારનો આંકડો હજુ 56 છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયેલ આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસની સંખ્યા 1,12,359 થઇ ગઇ છે. ગત 24 કલાકમાં કોરોના વાયરસના 5,609 નવા કેસ સામે આવ્યા છે અને 132 લોકોના મોત થયા છે. હજુ સુધીમાં 3,435 લોકોના મોત થઇ ચૂક્યા છે. જોકે, 45,300 દર્દીઓ આ બીમારીને હરાવવામાં સફળ રહ્યા છે. જ્યારે દેશમાં કોરોના બીમારીથી રિકવરીનો રેટ સુધરીને 40.31 ટકા થયો છે.