દેશમાં કોરોનાના કેસમાં એકતરફ વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ વાયરસમાં બદલાવની ઘટના પણ સામે આવી છે.
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ
361 સેમ્પલમાંથી 61 ટકામાં જોવા મળ્યો ડબલ મ્યૂટન્ટ
જીનોમ નિષ્ણાંતે વ્યક્ત કરી ચિંતા
જીનોમ નિષ્ણાંતે દાવો કર્યો છે કે, આ વર્ષે જાન્યુઆરી અને માર્ચની વચ્ચે કરવામાં આવેલ કોવિડ-19ના કુલ 361 સેમ્પલમાં 61 ટકામાં ડબલ મ્યૂટેશન હોવાનો ખુલાસો થયો છે. સાથે જ તેમણે કહ્યું કે, આ મહામારીમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવી રહેલ સેમ્પલ સંગ્રહની રીત સામે પણ સંદેહ વ્યક્ત કર્યો હતો.
361 સેમ્પલ્સની કરાઇ ચકાસણી
જો કે, જીનોમ અનુક્રમણ અને કોશિકા વિજ્ઞાનના ક્ષેત્રોના નિષ્ણાંતોના મત પ્રમાણે, આ પ્રકારના સેમ્પલની નાની સંખ્યાને મ્યૂટેન્ટ વાયરસના પ્રસારના સંકેતના રૂપમાં માનવામાં ન આવી શકે. આ 361 સેમ્પલ્સની તપાસ મહારાષ્ટ્રમાં કરવામાં આવી છે.
માહિતી સ્પષ્ટ નહીં હોવાથી કોરોનાના ફેલાવાને રોકવા અસમર્થ
બીજી તરફ, દરરોજ કોવિડ -19 નમૂનાઓ એકત્રિત કરતી નાગરિક સંસ્થાઓના અધિકારીઓએ મહારાષ્ટ્રમાં જિનોમ સિક્વન્સિંગ પ્રયોગશાળાઓમાંથી સંદેશાવ્યવહારના અભાવ તેમજ કેન્દ્રના નમૂના વિશ્લેષણ અંગેના તેમના નિષ્કર્ષ વિશે ફરિયાદ કરી છે. તેમણે કહ્યું હતું કે સંદેશાવ્યવહારના અભાવના પરિણામે, નાગરિક સંસ્થાઓ અને રાજ્યના આરોગ્ય અધિકારીઓ માહિતીથી અજાણ રહે છે અને તેથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઝડપથી ફેલાવાને રોકવા માટે કોઈ વધુ સારી વ્યૂહરચના બનાવવામાં અસમર્થ છે.
મહારાષ્ટ્રમાં આજે નોંધાયા છે 58 હજારથી વધુ કેસ
કોરોનાના લીધે આજે પણ મહારાષ્ટ્રમાં કેસોનો રાફડો ફાટ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે 8.30 વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 58,952 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને 278 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અગાઉ, મંગળવારે 60,212 લોકો, સોમવારે 51,751 અને રવિવારે 63,294 જેટલા દર્દીઓને કોરોના સંક્રમણ થયું હતું, રાજ્યમાં અત્યાર સુધીમાં 35,78,160 લોકોને કોરોના સંક્રમણ થયું છે.
15 દિવસ માટે મહારાષ્ટ્રમાં કર્ફ્યૂ
કોરોના વધતા જતા કેસો વચ્ચે આજે રાતના 15 વાગ્યાથી આઠ દિવસ માટે મહારાષ્ટ્રમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. લોકડાઉન જેવા આ નિયંત્રણો 1 મેના રોજ સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કર્ફ્યુ લાદવાની ઘોષણા કરી હતી.
તેમણે કહ્યું હતું કે હોસ્પિટલોમાં ભીડ વધી ગઈ છે. આવી સ્થિતિમાં કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં ઓક્સિજનની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ બંગાળથી અથવા પૂર્વોત્તર રાજ્યોમાંથી ઓક્સિજન સપ્લાય કરવા લશ્કરી વિમાન મોકલવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે.
રેમિડેસીવીરની માંગ વધી રહી છે
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઓક્સિજન સપ્લાય અને બેડની અછત છે અને રેમેડિસિવર ઇન્જેક્શનની માંગ વધી છે. ઠાકરેએ કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર તેની પિક પર છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.