મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ પ્રસંગે તેમણે એક ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, કોરોનાકાળમાં અને સામાન્ય દિવસોમાં સરકાર ચલાવવી એ અલગ વાત છે.
આફતોમાં કેન્દ્ર સરકારે કોઈ મદદ નથી કરી : ઠાકરે
હું શાંત અને સંયમિત છું પણ નપુંસક નથી : ઠાકરે
હું ભાજપના સ્તર પર ક્યારેય ન જઈ શકું : ઠાકરે
કેન્દ્ર સરકાર પર આરોપ
૬૦ વર્ષીય ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાનીવાળી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે, સપ્ટેમ્બરમાં રાજ્યમાં પીપીઈ કિટ્સ અને એન-૯૫ માસ્ક ન મળ્યા, જેના કારણે અમારા પર આર્થિક ભાર વધી ગયો છે. ઠાકરેએ કહ્યું કે, નિસર્ગ વાવાઝોડું, વિદર્ભમાં પૂર અને ભારે વરસાદ જેવી કુદરતી મુશ્કેલીમાં પણ કેન્દ્ર સરકારે અમારી કોઈ મદદ નથી કરી.
હિન્દુત્વ પર આમને સામને
સીએમ ઠાકરેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમનું હિન્દુત્વ બદલાઈ ગયું છે તો તેમણે કહ્યું કે હિન્દુત્વ કોઈ ધોતી નથી કે બદલી નાખીએ. તે અમારા લોહીમાં છે. હું મારા પિતા અને દાદાના હિન્દુત્વમાં વિશ્વાસ રાખું છું. બાલ ઠાકરે કહેતા કે મને મંદિરમાં ઘંટ વગાડવાવાળા હિંદુ નથી જોઈતા...મને તો આતંકવાદીઓને કાઢી મૂકે તેવા હિંદુ જોઈએ. હિન્દુત્વનો અર્થ શું ? માત્ર પૂજા-અર્ચના અને ઘંટ વગાડવો ? તેનાથી કોરોના નથી જતો એ તો સિદ્ધ થઇ ગયું છે. ધર્મના નામે રાજકારણ ન કરશો.
હું નપુંસક નથી : ઠાકરે
ઠાકરેએ કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ વિશે પણ સરકાર પર હુમલો કર્યો, ઠાકરેએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે હું શાંત છું એનો અર્થ એવો નથી કે હું નપુંસક છું. પરિવાર પર હુમલા કરવા એ અમારી સંસ્કૃતિ નથી. જો તે મારા પરિવાર પર હુમલા કરે છે તો યાદ રાખજો કે તમારા પરિવારમાં પણ દીકરાઓ છે. વધારે હોંશિયારી મારશો તો હું હાથ ધોઈને પાછળ પડી જઈશ.એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટર્વ્યુમાં ઠાકરેએ કહ્યું કે, એ લોકોને (ભાજપ) અંદાજ લગાવવા દો. તેઓ વ્યસ્ત અને ખુશ છે. હું તેમની ખુશી અને વ્યસ્તતાને બરબાદ નથી કરવા માંગતો.
ભાજપના સ્તર પર ક્યારેય ન જઈ શકું : ઠાકરે
ઠાકરેએ કહ્યું કે, હું ક્યારેય વ્યક્તિગત હુમલો નથી કરતો અને દુર્ભાવનાપૂર્ણ ઈરાદા સાથે પણ નથી બોલતો. ભાજપે મારા પરીવાર પર દુશ્મનોની જેમ હુમલો કર્યો છે. જ્યારે અમે તેમની સાથે હતા ત્યારે અમે તેમના માટે સારા હતા. અમે તેમના માટે પ્રચાર કરતા હતા, અમારા વગર તેમને મત પણ નહોતા મળતા. હવે તેઓ અમારા પરિવાર પર હુમલા કરી રહ્યા છે, તેમની રાજનીતિ દૂષિત છે. હું તેમના સ્તર પર ક્યારેય ન જઈ શકું.