મહારાષ્ટ્રમાં કોરોનાના કેસના વધતા મામલાઓને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે લોકો બિનજરૂરી યાત્રા કરવાનું નહીં ટાળે તો આગામી સમયમાં અમુક નિર્ણય લેવા પડશે. ઠાકરેએ કહ્યું હતું કે જો લોકો બિનજરૂરી પ્રવાસ નહીં ટાળે તો સરકારે બસ-ટ્રેન જેવી પબ્લિક સેવાઓ બંધ કરવાનો નિર્ણય મજબૂરીમાં લેવો પડશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકો બિનજરૂરી યાત્રા ન કરે અને કારણ વિના એક જગ્યા પર જમા ન થાય
રાજ્ય કૅબિનેટની સાપ્તાહિક બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં ઠાકરેએ કહ્યું કે લોકો બિનજરૂરી યાત્રા ન કરે અને કારણ વિના એક જગ્યા પર જમા ન થાય. તેમણે એ પણ કહ્યું કે સરકારી ઓફિસોમાં સાત દિવસની કોઈ રજા નથી. ઉલ્લેખનીય છે કે મીડિયામાં એ વાત ફેલાઈ હતી કે મહારાષ્ટ્રમાં સરકારી કચેરીઓમાં રજા અપાઈ છે.
50 ટકા લોકો ઘરેથી કામ કરે
ઠાકરેએ કહ્યું કે પ્રશાસન 50 ટકા ક્ષમતા સાથે સરકારી કાર્યલયમાં કામ કરવાની મંજૂરી આપવા પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું મંગળવાર સુધી મહારાષ્ટ્રમાં 40 લોકો સંક્રમિત થયા છે. એક વ્યક્તિની મોત થઈ છે. ઠાકરેએ કહ્યું કે કોરોના વાયરસથી સંક્રમિત 39 દર્દીઓની હાલત સ્થિર છે જ્યારે એકની સ્થિતિ ગંભીર છે. સંક્રમિત લોકોમાં 26 પુરુષો અને 14 મહિલાઓ છે.
સંદિગ્ધ લોકોના ડાબા હાથ પર મરાઈ રહ્યો છે સિક્કો
કોરોનાના ખતરાને જોતા મહારાષ્ટ્રમાં સરકારે નિર્ણય લીધો છે કે હોમ ક્વૉરન્ટીનમાં રખાયેલા લોકોના ડાબા હાથ પર સિક્કો મારવામાં આવશે. હોમ ક્વૉરન્ટીનમાં રખાયેલા લોકો શંકાસ્પદ છે જે વિદેશથી પરત ફર્યા છે અને તેમને કોરોના સંક્રમિત હોવાનો ખતરો હોવાનું મનાઈ રહ્યું છે.