મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહનો 100 કરોડની વસૂલીવાળો સ્ફોટક લેટર બહાર આવ્યાં બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ મચ્યું છે.
ભાજપે દેશમુખનો નાર્કો ટેસ્ટ કરાવવાની કરી માગ
ભાજપે અનિલ દેશમુખના રાજીનામાની પણ કરી માગ
અનિલ દેશમુખ રાજીનામુ આપે-મનસે અધ્યક્ષ રાજ ઠાકરે
ભારતીય જનતા પાર્ટી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની તથા તેમનો નાર્કો ટેસ્ટ કરાવવાની માગ ઉઠાવી છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે પરમવીર સિંહના આ ખુલાસો તો જિલેટિન સ્ટીક્સ કરતા પણ વધારે ખતરનાક છે. દેશમુખને તત્કાળ ગૃહમંત્રી પદેથી બરખાસ્ત કરીને ઉદ્ધવ સરકારે આ કેસની નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ. તેમણે કહ્યુ્ં કે મહારાષ્ટ્રમાં કદાચ આ પહેલો કિસ્સો છે કે જ્યારે કોઈ મોટા પોલીસ અધિકારીએ સીએમને આટલા ગંભીર આરોપ કરતો લેટર લખ્યો છે.
આ દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખે દેવેન્દ્ર ફડણવીસની સામે માનહાનીનો દાવો માંડવાની ચેતવણી ઉચ્ચારી છે.
દેશમુખ, પરમવીર અને વઝેનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ-ભાજપ સાંસદ
ભાજપ સાંસદ મનોજ કોટકે જણાવ્યું કે આ વસૂલી કરનાર સરકાર છે. આ લેટરથી આ સત્ય સામે આવ્યું છે. તેથી અનિલ દેશમુખ, પરમવીર સિંહ અને સચિન વઝેનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ.
દેશમુખને હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી-કિરીટ સોમૈયા
ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ જણાવ્યું કે મુંબઈમાં જબરજસ્તીથી વસૂલી ચાલી રહી છે અને સચિન વઝે ગૃહમંત્રીના એજન્ટ હતા. બીયર બાર અને બીજી જગ્યાએથી ખંડણી વસૂલતા હતા. અનિલ દેશમુખને હવે ગૃહમંત્રી પદે રહેવાનો કોઈ અધિકાર નથી. તેમને હોદ્દા પરથી બરખાસ્ત કરવા જોઈએ. ભાજપના બીજા નેતા રામ કદમે પણ કહ્યું કે 16 મહિનાથી મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર છે દર મહિનાના હિસાબે 100 કરોડની ગણતરીએ કરીએ તો અત્યાર સુધીમાં 1600 કરોડ થઈ ગયા હોય. સરકાર લોકોની રક્ષા માટે હોય છે પરંતુ ત્રણ પક્ષોની સરકારે જનતાનું શોષણ કર્યું છે. આવું નઠારુ કામ પહેલા ક્યારેય થયું નથી.
શું છે મામલો
પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કહ્યું : અનિલ દેશમુખે વાઝેને દર મહિને 100 કરોડ કલેક્ટ કરવા કહ્યું હતુ. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે એન્ટિલિયા કેસમાં ફંસાયેલા સચિન વાઝેનો ઉલ્લેખ કરવામાં છે. આ પત્રમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે જ સચિન વાઝેને 100 કરોડ રૂપિયા કલેક્ટ કરવા માટે કહ્યું હતું. નોંધનીય છે કે પરમબીર સિંહને હાલમાં જ મુંબઈના પોલીસ કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા હતા અને તે પહેલાથી જ રાજકારણ થઈ રહ્યું છે, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ આ મુદ્દાને વારંવાર ઉછાળી રહ્યા છે ત્યારે હવે પરમબીર સિંહના આ મોટા આરોપ બાદ રાજ્યમાં રાજકારણ વધે તેવી સંભાવના છે. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સચિન વાઝેને મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ વારંવાર પોતાના સરકારી આવાસ પર બોલાવ્યા હતા અને તેમાં સચિવ વાઝેને પૈસા ક્લેક્ટ કરવા માટે આદેશ આપ્યા હતા.