ભાજપથી અલગ થઇને કોંગ્રેસ અને એનસીપીનો છેડો પકડનારી શિવસેના મહારાષ્ટ્રમાં હવે સરકાર બનાવવા જઇ રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ગુરૂવારે શપથ લેવા જઇ રહ્યા છે. ત્યારે બુધવારે ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાત કરી હતી.
શપથગ્રહણ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને શુભેચ્છા પાઠવી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી અને તેમને નવી ઇનિંગ્સ માટે શુભેચ્છા પાઠવી છે.
ઉદ્વવ ઠાકરે ગુરૂવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેવા જઇ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રીએ ઉદ્ધવને કહ્યું કે મહારાષ્ટ્રના વિકાસ માટે કેન્દ્ર તરફથી તમામ પ્રકારની સહાય આપવામાં આવશે.
જોકે, મહા વિકાસ અઘાડી સરકારના નામિત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને શપથગ્રહણમાં આવવાનું આમંત્રણ આપ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઉદ્ધવ ઠાકરે ગુરૂવારે સાંજે 6:40 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ મુંબઇના શિવાજી પાર્કમાં હશે. ત્યારે શિવસેના અને ભાજપ વચ્ચે 30 વર્ષ જૂનું ગઠબંધન તૂટ્યા બાદ પીએમ મોદી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આ પ્રથમ વાતચીત છે.