મહારાષ્ટ્રમાં ભારે રાજકીય સંકટ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ અમદાવાદ આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
અમદાવાદ આવી રહ્યા છે અમિત શાહ: સૂત્ર
એકનાથ શિંદેના અમુક ધારાસભ્યો સાથે કરશે મુલાકાત
દેવેન્દ્ર ફડણવીસ પણ તેમની સાથે આવી શકે છે અમદાવાદ
અમદાવાદ આવશે અમિત શાહ
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે અને આ ભૂકંપનું એપીસેન્ટર ગુજરાતમાં હોવાનું દેખાઈ રહ્યું છે. એકબાજુ જ્યાં શિવસેનાના બળવાખોર દિગ્ગજ નેતા એકનાથ શિંદે 30 જેટલા ધારાસભ્યોને લઈને સુરતની 5 સ્ટાર હોટલમાં છે ત્યાં અમદાવાદમાં મોટી બેઠક થવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અમદાવાદ આવી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં નવા ચાણક્યના રૂપમાં જે નેતાનો ઉદય થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે તે દેવેન્દ્ર ફડણવીસ પણ અમદાવાદ આવશે અને મીટિંગમાં આગળનો નિર્ણય લેવામાં આવશે.
ધારાસભ્યોને રિસોર્ટ-હોટલમાં રખાશે
એક બાજુ જ્યાં શિવસેનાના અનેક ધારાસભ્યો એકનાથ શિંદેની સાથે ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની પાર્ટીના ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે પોતાના તમામ ધારાસભ્યોને અમદાવાદ લાવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાણંદની આસપાસ ધારાસભ્યોને રાખવા માટે જગ્યા શોધવામાં આવી રહી છે. કોઈ રિસોર્ટ અથવા હોટલમાં તમામ ધારાસભ્યોને રાખવામાં આવશે.
આટલું જ નહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આવ્યા બાદ કમલમમાં જ મહારાષ્ટ્ર ભાજપની બેઠક કરવામાં આવી શકે તેવી શક્યતા પણ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવી રહી છે.
શું છે એકનાથ શિંદેની માંગણી
ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પ્રસ્તાવ આપ્યો હોવાનો મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે જાણવા મળી રહ્યું છે. એકનાથ શિંદે પાસે શિવસેનાના 30થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો છે ત્યારે એકનાથ શિંદેએ ઓફર આપી છે કે જો ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ગઠબંધનની સરકાર બનાવે તો અમે પાર્ટીમાં જ રહીશું. આમ એકનાથ શિંદેએ ઠાકરે સામે પાર્ટીને બચાવવા માટે છેલ્લી ઓફર આપી હોવાની માહિતી મળી રહી છે.
પ્રસ્તાવની ત્રણ શરતો:
ભાજપ સાથે સરકાર
દેવેન્દ્ર ફડણવીસને બનાવો મુખ્યમંત્રી
એકનાથ શિંદે પોતે ડેપ્યુટી CM
શું કરશે ઠાકરે? પાર્ટી બચાવશે કે સરકાર?
આમ એકનાથ શિંદે દ્વારા આપવામાં આવેલ શરત અનુસાર ઉદ્ધવ ઠાકરે પાસે બે રસ્તો છે, એકબાજુ પાર્ટી બચાવવી હોય તો પ્રસ્તાવ બચાવવો અને જો પ્રસ્તાવ ઠુકરાવે તો પાર્ટીમાં મોટું ભંગાણ થાય.
મંગળવારે સવારથી મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે એક બાદ એક પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યા છે જેમાં 2 ધારાસભ્યોને દૂત બનાવીને સુરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય કોંગ્રેસના પણ તમામ ધારાસભ્યોને એક જગ્યાએ ભેગા કરી લેવામાં આવ્યા છે. દિલ્હીમાં શરદ પવાર પણ એક બાદ એક બેઠકો કરી રહ્યા છે ત્યારે સરકાર અલ્પમતમાં આવી ગઈ છે તેવું ભાજપ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં સરકારના નેતૃત્તવમાં કોઈ બદલાવની જરૂર નથી : શરદ પવાર
આ બાજુ NCP સુપ્રીમો શરદ પવાર પણ એક્શન મોડમાં આવી જતા પ્રેસ કોન્ફન્સ કરી હતી. તેમણે આ સમગ્ર મુદ્દાને શિવસેનાના આંતિરક મામલા તરીકે ખપાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નારાજ શિવેસના ધારાસભ્યોને મનાવવા કે તેઓ કયા મુદ્દે નારાજ છે તે શિવસેનાએ જોવાનું છે. બાકી અત્યાર સુધી તો સરકાર સારી રીતે ચાલી છે અને આગળ પણ ચાલતી જ રહેશે. મહારાષ્ટ્ર સરકારમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વને બદલવાની કોઈ જરૂરિયાત દેખાતી નથી. શિવસેના જે નક્કી કરશે તેની પડખે અમે ઊભા રહીશું તેમ પણ પવારે જણાવ્યું હતું.
એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ બધું બરાબર થઇ જશે- સંજય રાઉત
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે, સંજય રાઉતે જણાવ્યું હતું કે, શિવસેનાના ખરાબ સમયમાં પણ આ ધારાસભ્યો શિવસેના સાથે રહ્યા હતા. જેથી તમામ ધારાસભ્યો પરત આવશે. વધુમાં તેમણે કહ્યું કે, એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ મને વિશ્વાસ છે કે, બધું બરાબર થઇ જશે. કારણ કે, મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અલગ છે. શિંદે અમારાથી નારાજ નથી, તે અમારા ભાઈ છે. જેથી જે ખૂદને કિંગ મેકર સમજે છે, તે સફળ થશે નહીં.