તમે અકસ્માત વીમામાં કોઈ માણસનાં મોત અથવા ઈજા પર વળતર મળ્યું હોવાનું સાંભળ્યું હશે, પણ મહારાષ્ટ્રમાં એક શ્વાનનાં મોત પર વીમા કંપનીને 3 લાખ રૂપિયા આપવાના આદેશ આપવામાં આવ્યા છે.
દેશના ઈતિહાસમાં પહેલીવાર આવો ચુકાદો
શ્વાનનાં મોતનાં બદલામાં મળ્યું વળતર
કોર્ટે વીમા કંપનીને 3 લાખ રૂપિયા આપવાના આદેશ કર્યા
શ્વાનના મોત પર 8 વર્ષ ચાલ્યો કેસ
મહારાષ્ટ્રમાં વર્ષો બાદ કાયદાકીય લડાઈ બાદ શ્વાનના માલિકને એક કેસમાં વળતર આપવાના આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. કોર્ટે વીમા કંપનીને આદેશ આપ્યા છે કે શ્વાનનાં માલિકને એક લાખ 62 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે. નોંધનીય છે કે આ પ્રકારે એક પાલતુ પ્રાણી માટે વળતર આપવાના આદેશ અપાયા હોય તેવો આ પહેલો કેસ છે તેથી દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે. વ્યાજ સાથે માલિકને કુલ ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે.
3 લાખ રૂપિયા આપવાના આદેશ
નોંધનીય છે કે મહારાષ્ટ્રના ચંદ્રપૂરમાં 2013માં એક રોડ અકસ્માતમાં શ્વાનનું મોત થયું હતું અને તે શ્વાનનાં મોત માટે આઠ વર્ષ બાદ વીમા કંપનીને કુલ ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવાના આદેશ આપવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
કેસના વકીલ જયપ્રકાશ પાંડેએ કહ્યું કે અમારો ધ્યેય એક જ હતો કે દેશભરમાં એક સંદેશ જાય કે રસ્તા પર માણસ ચાલતો હોય કે પછી પ્રાણી, બધાના જીવની કિંમત છે અને સુરક્ષા રાખવાની જવાબદારી વાહન ચલાવનારાની છે. કોર્ટમાં આ કેસ આઠ વર્ષથી ચાલી રહ્યો હતો અને લડાઈ ખૂબ જ કઠણ રહી હતી. જૉન નામક શ્વાનનાં માલિક ઉમેશ ભટકરે મોટર એક્સિડેન્ટલ ક્લેમ ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરીને પાંચ લાખ રૂપિયાનાં વળતરની માંગ કરી હતી.
શ્વાનના માલિકે કહ્યું કે તે દિવસે તેઓ સવારના સમયમાં પોતાના શ્વાન સાથે રસ્તા પર આંટો મારી રહ્યા હતા અને એક સ્કૂલ બસે આવીને શ્વાનને ટક્કર મારી દીધી. એ બાદ FIR પણ કરવામાં આવી અને પોસ્ટમૉર્ટમ પણ કરાવવામાં આવ્યું હતું.
કેમ કર્યો દાવો?
શ્વાનનાં માલિકે કોર્ટમાં દલિલ આપી હતી કે શ્વાન એક કંપનીની અંદર સુરક્ષા માટે તૈનાત હતો અને તેનાથી તેમને દર મહિને આઠ હજાર રૂપિયાની આવક થતી હતી તેથી વીમા કંપની દ્વારા મને તેનું વળતર આપવામાં આવે.