450 વર્ષમાં પ્રથમ વાર કોઈ મહિલાએ ચામર પતરી વિધિ ઝીલી, ભુજ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ચામર પતરી વિધીનો હક્ક મહારાણી પ્રિતિદેવીને અપાયો હતો.
આશાપુરા મંદિરમાં પતરી વિધિ પૂર્ણ
કચ્છમાં માત્ર 5 મિનિટમાં પતરીનો પ્રસાદ ઝીલાયો
મહારાણી પ્રિતિદેવીએ પતરી વિધિ કરી
કચ્છના કુળદેવી મા આશાપુરાના માતાના મઢ મંદિરમાં રજવાડી પરંપરા અનુસાર પતરી વિધિ સંપન્ન થઈ હતી. માતાના મઢમાં સાતમના હવન સંપન્ન થયા બાદ બીજા દિવસે આઠમે રાજાશાહીના વખતથી ચાલી આવતી પરંપરા મુજબ જાતર વિધિ યોજાઇ હતી.
450 વર્ષમાં પ્રથમ વાર કોઈ મહિલાએ ચામર પતરી વિધિ ઝીલી
સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવી દ્વારા પતરી વિધિ કરવામાં આવી હતી. રાજ પરિવારના પ્રતિનિધિએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને આશીર્વાદ મેળવ્યા હતા. માત્ર 5 મિનિટમાં પતરીના દર્શન થતાં મંદિર સંકુલ મા આશાપુરાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. રાજાશાહી યુગથી ચાલી આવતી પરંપરા અનુસાર કચ્છના રાજવી પરિવારના મોભી મહારાણી પ્રીતિદેવી ચાચર ભવાની માની પૂજા કરીને ચામર લઈને વાજતે ગાજતે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે જાગીરાધ્યક્ષ અને મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજી, રાજવી પરિવારના સભ્યો અને જાગીર ટ્રસ્ટીઓ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, કચ્છના ઇતિહાસમાં 450 વર્ષમાં પ્રથમ વાર કોઈ મહિલા દ્વારા આ પતરી વિધિ કરવામાં આવી હતી.
ચામર વિધી અંગે ભૂજ કોર્ટનો ચુકાદો
2010ના લખપત કોર્ટના નિર્દેશ બાદ રાજ પરિવારના મોટાપુત્ર સ્વ. પ્રાગમલજી ત્રીજાએ ભુજ જિલ્લા કોર્ટમાં માતાનામઢના પૂજારી યોગેન્દ્રસિંહજી રાજાબાવા , તેમના નાના ભાઈ હનુમંતસિંહજી જાડેજા અને દેવેન્દ્રસિંહજી જાડેજા વિરુદ્ધ ચામર પત્રી વિધિ અંગે કોર્ટ સમક્ષ અપીલ કરી હતી. ઘણા વર્ષોથી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ પડ્યો હતો ત્યારે આ નવરાત્રી પહેલા ચામર વિધી અંગે પણ ભૂજ કોર્ટનો મહત્વનો ચુકાદો આપ્યો હતો . માતાના મઢ ખાતે યોજાતી ચામર વિધિનો એકમાત્ર અધિકાર કચ્છના રાજવી પરિવારના સ્વ. યુવરાજ પ્રાગમલજી ત્રીજાના ધર્મપત્ની મહારાણી પ્રીતિદેવીને આપવામાં આવ્યો હતો. કોર્ટએ આદેશ આપતા એ પણ ટાંક્યું છે કે પ્રીતિદેવી ઈચ્છે તો આ વિધિ પોતે કરી શકે છે. પરંતુ આ અંગે કોઈને નિયુક્ત કે આદેશ કરવાની મનાઈ ફરવામાં આવી છે. જેનો સ્પષ્ટ મતલબ એ થાય છે કે ચામર વિધિનો હક્ક માત્રને માત્ર પ્રીતિદેવી આપવામાં આવ્યો છે.જે મુજબ રજવાડી પરંપરા અનુસાર પતરી વિધિ મહારાણી પ્રિતિદેવી સંપન્ન થઈ છે.
શું હતો સમગ્ર વિવાદ
વર્ષ ૨૦૧૦માં કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પત્રી વિધિ અંગે લખપત-દયાપરની કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં તેઓએ માંગણી કરી હતી કે, માતાના મઢ ખાતે આવેલા કચ્છનાં દેશદેવી એવા કુળદેવી માં આસાપુરના મંદિરમાં તેઓ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિને ચામર-પત્રી વિધિ કરવા દેવામાં આવે. જેમાં દયાપરની કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, પ્રાગમલજી પોતે વિધિ કરી શકે છે પરંતુ તેઓ કોઈને આ અંગેનો અધિકાર કે નિયુક્ત ન કરી શકે. જેની સામે પ્રાગમલજી દ્વારા ભુજની ડિસ્ટ્રીકટ કોર્ટમાં માતાના મઢ મંદિરના પૂજારી યોગેન્દ્રસિંહજી ગુરુ કરમશી રાજાબાવા તેમજ નાના ભાઈ હનુવંતસિંહ જાડેજા તથા દેવેન્દ્રસિંહજી જાડેજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કચ્છનાં રાજવી પરિવારનાં મોભી સ્વ: પ્રાગમલજી ત્રીજાનું અવસાન થયું હતું. જેને પગલે એમના પત્નિ મહારાણી પ્રીતિદેવીએ ભુજ કોર્ટમાં આ કેસ સંદર્ભે અપીલ કરી હતી. પ્રીતિદેવીની એકલાની અપીલ ઉપરાંત સ્વ: પ્રાગમલજી ત્રીજાએ તેમની હયાતી દરમિયાન કુંવર તરીકે જેમની જાહેરાત કરી હતી તેવા ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિત તેરાના મયુરધ્વજસિંહ જાડેજા અને દેવપરના કૃતાર્થસિંહ જાડેજા પણ આ મામલામાં પક્ષકાર તરીકે જોડાયા હતા. જોકે કોર્ટે ત્રણેયની અપીલ કાઢી હતી. અને પ્રીતિદેવીને આજીવન ચામર પત્રી વિધિ માટેનો હક હોવાનો ચુકાદો આપ્યો હતો. ભુજનાં દસમાં અધિક જિલ્લા જજ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો.