કેન્દ્ર સરકારના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત શ્રી અંબાજી માતાજી મંદિર ટ્રસ્ટ, લુણાવાડાના પ્રમુખ એચ એચ મહારાણા સિદ્ધરાજસિંહ તરફથી લુણાવાડા શહેરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર પર આવેલ ટીબીના તમામ દર્દીની સારવાર શરૂ રહે ત્યાં સુધી પ્રોટીનયુક્ત પોષણ કીટ આપવામાં આવશે.
મહારાણા સિદ્ધરાજસિંહ સોલંકીએ કરી અનોખી પહેલ
લુણાવાડા શહેરના ટીબી રોગના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સરકારના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત શ્રી અંબાજી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જિલ્લા ક્ષય કેન્દ્રના માર્ગદર્શન દ્વારા ટીબીના હાલ સારવાર પરના 27થી પણ વધુ દર્દીઓને કીટ આપવામાં આવી હતી અને કેન્દ્ર સરકારના ટીબી નાબૂદી અભિયાનમાં મહારાણા સિદ્ધરાજસિંહ સોલંકી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.
એક વર્ષ માટે ટીબીના દર્દીઓને દત્તક લીધા
આ અંગે મહારાણા સિદ્ધરાજસિંહએ જણાવ્યું કે, અંબાજી માતા ટ્રસ્ટ, લુણાવાડા ટ્રસ્ટે કેન્દ્ર સરકારના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત લુણાવાડાના તમામ ટીબીના દર્દીઓને એક વર્ષ માટે દત્તક લીધા છે. તેમને પ્રોટીનયુક્ત પોષણ કીટ આપવામાં આવશે, અને એક વર્ષ સુધી તમામ દર્દીઓનું ધ્યાન રાખવામાં આવશે.
શું છે નિ-ક્ષય મિત્ર યોજના?
કેન્દ્ર સરકારે દેશને ટીબીથી મુક્ત કરવા માટે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું છે. સરકારનું લક્ષ્ય 2025 સુધીમાં દેશને સંપુર્ણપણે ટીબી મુક્ત બનાવવાનો છે. આ અંતર્ગત સરકારે નિ-ક્ષય મિત્ર યોજના શરૂ કરી છે.
આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ, NGO અથવા બિન-સરકારી સંસ્થા ટીબીના દર્દીઓને દત્તક લઈને તે દર્દીઓને પોષણ અને દવાઓ આપવાનું કામ કરી શકે છે. થોડા સમય પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું હતું કે, આ યોજના શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં 9.57 લાખ દર્દીઓને મદદ કરવા માટે લોકો આગળ આવ્યા છે.