અંકલેશ્વરની પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે તાજેતરમાં એક નવું ફરમાન કરવામાં આવ્યું છે. વાત જાણે એમ બની કે અંકલેશ્વરના TDOએ ગામના તમામ માસ્તરોને ગામના શૌચાલયોની દિવાલો પર પૅઇન્ટિંગ કરવાનું ફરમાન કરતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ગામના TDO ના ફરમાનની ચર્ચા ચોતરફ થવા લાગી અને છંછેડાયો વિવાદનો મધપૂડો. ડીડીઓના પરિપત્રથી શિક્ષકોમાં મોટા પાયે રોષ ભભૂકી ઊઠયો છે અને તાકીદે પરિપત્ર પરત ખેંચવા માંગણી પણ કરવામાં આવી છે.
અંકલેશ્વરના TDO એ શિક્ષકોને ગામના શૌચાલયો પર પેઇન્ટિંગ કરવાની વાત કરતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો જાહેર માધ્યમોમાં પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે શિક્ષકોને શાળામાં બાળકોની ભણાવવાની સાથે-સાથે અવારનવાર વિવાદાસ્પદ ફતવા જારી કરી બીજા કામોમાં જોતરવામાં આવી રહ્યા છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે શિક્ષકો આવી ઇત્તર પ્રવૃતિઓ કરશે તો કેવી રીતે ભણાવશે...?
અત્રે જણાવી દઇએ કે આ અગાઉ પણ શિક્ષકોને સરકાર અને તંત્ર દ્વારા ઘણી પ્રવૃતિઓ કરવા માટે ફરમાન આપવામાં આવતા રહ્યાં છે. અગાઉ ચૂંટણી કાર્યક્રમોમાં પણ શિક્ષકો પાસે કામ કરાવવામાં આવે છે તેવું પણ જોવા મળ્યું છે. જાણીને ચોંકી જશો કે અગાઉ 72 જેટલી ઇત્તર પ્રવૃત્તિઓ શિક્ષકો પાસેથી કરાવવામાં આવતી હતી.
આજે આ પ્રવૃત્તિઓ વધીને 100 જેટલી થઈ ગઈ છે. સરવાળે વાત તો વિદ્યાર્થીઓના ધૂંધળા ભવિષ્ય સાથે જ જોડાયેલી છે. શિક્ષકોને તેમના મૂળ કામ સિવાય પણ અન્ય કામનું ભારણ આપવામાં આવે છે અને રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે તેવા અહેવાલો પણ પ્રકાશમાં આવે છે.
આ જ મુદ્દે VTV પર ખાસ મહામંથનમાં ચર્ચા કરવામાં આવી હતી જેનો વીડિયો તમે નીચે જોઈ શકો છો.