ઈન્દ્ર પાસેથી સ્વર્ગ જતું રહેતાં બધા દેવો દુઃખી થઈ ગયા. બધા દેવો પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુએ આજ્ઞા કરી : તમે સમુદ્ર મંથન કરો. તેમાંથી અમૃત નીકળશે, જે યુક્તિથી હું તમને પીવરાવીશ. આ કામ અત્યંત મુશ્કેલ છે તેથી દૈત્યોની પણ મદદ લો. શત્રુને વંદન કરી મિત્ર બનાવો. એમ નહીં કરો તો શત્રુ તમારા કામમાં વિઘ્ન નાંખશે. દૈત્યો પણ જે માંગે તે આપજો.
દેવોએ દૈત્યો સાથે મૈત્રી કરી. મંદારાચલ પર્વતનો રવૈયો બનાવ્યો. તેને સમુદ્રમાં પધરાવ્યો. સમુદ્રમાં દેવો અને દૈત્યો મંથન કરવા લાગ્યા. મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો. બધા ગભરાયા. એ વખતે કૂર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા. તેમણે પોતાની પીઠ પર મંદરાચલ પર્વત રાખ્યો. દેવો અને દૈત્યો અમૃત માટે મંથન કરતા હતા પરંતુ નીકળ્યું ઝેર. બધા ગભરાયા દેવો અને દૈત્યો ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યાઃ ” હે મહાદેવ! આ ઝેર અમને બાળે છે.”
શિવજીએ પાર્વતીજીને કહ્યું: મને જે થવાનું હોય તે થાય પણ આ લોકો તો સુખી થશે ને?
ભગવાન શિવ પધાર્યા. ‘રામ’ નામનો જપ કરતાં શિવજી ઝેર પી ગયા, દેવો અને દૈત્યોએ મંથન ચાલુ રાખ્યું. હવે સમુદ્રમાંથી કામઘેનુ ગાય માતા પ્રગટ થયાં. તે બ્રાહ્મણોને અર્પણ કરવામાં આવ્યાં. તે પછી સમુદ્રમાંથી ઉચ્ચૈઃ શ્રવા નામનો ઘોડો બહાર આવ્યો. દાનવોએ માગણી કરી કે, આ ઘોડો અમને મળવો જોઈએ.
રાક્ષસોને એ ઉચ્ચૈઃશ્રવા ઘોડો આપવામાં આવ્યો. તે પછી સમુદ્રમાંથી ઐરાવત નામનો હાથી બહાર આવ્યો. ઐરાવત હાથી દેવોના પક્ષમાં આવ્યો. હાથી પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. તે નારાયણને અર્પણ કર્યો. તે પછી પારિજાત નામનું કલ્પવૃક્ષ અને અપ્સરાઓ બહાર આવ્યાં. તે પછી સમુદ્રમાંથી સાક્ષાત્ શ્રી મહાલક્ષ્મી પ્રગટ થઈ બહાર આવ્યાં.
મહાલક્ષ્મીને સોનાના પાટલે બેસાડી બ્રાહ્મણોએ વેદમંત્રો સાથે તેમનો અભિષેક કર્યો. સખીઓએ લક્ષ્મીજીને શ્રૃંગાર કર્યો. બધાને એવી ઈચ્છા થઈ કે, આ લક્ષ્મી મને મળે તો સારું.” લક્ષ્મીજીએ કહ્યું: સ્વયંવર યોજો. હું બધાને જોઈશ અને એ વખતે હું મારા પતિને પસંદ કરી તેને વિજયમાળા અર્પણ કરીશ.
સ્વયંવરનું આયોજન થયું. એક બાજુ સિંહાસન પર દેવો બિરાજ્યા. બીજી બાજુ સિંહાસન પર દાનવો બેઠા. ઋષિમુનિઓ અને તપસ્વીઓ પણ લક્ષ્મીજીને પામવાની આકાંક્ષાથી સ્વયંવરમાં આવ્યા. સખીઓ હાથમાં ફૂલમાળા સાથે લક્ષ્મીજીને વારાફરતી એક બીજાની પાસે લઈ જવા માંડી. લક્ષ્મીજીએ તપસ્વીને જોઈ સખીઓને કહ્યું: આ તપસ્વી છે, પણ તેમના તપને ભક્તિનો સાથ નથી. તેઓ ક્રોધ બહુ કરે છે. આગળ ચાલો.સખીઓ લક્ષ્મીજીને દેવો પાસે લઈ ગયાં. લક્ષ્મીજીએ દેવો સામે જોયું.
હવે આગળ શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ બેઠેલા હતા. લક્ષ્મીજીએ તેમને જોયાં. લક્ષ્મીજીને લાગ્યું કે, આ જ ભગવાન સર્વગુણસંપન્ન છે. તેમનામાં એક પણ દોષ નથી. તેમની અડધી આંખ ઉઘાડી છે. અડધી આંખ બંધ છે. લક્ષ્મીજીને લાગ્યું કે આ જ ભગવાન નારાયણ છે એટલે તેમણે તરત જ ફૂલોની બનેલી વિજયમાળા તેમને અર્પણ કરી દીધી. દેવો અને ગાંધર્વોએ લક્ષ્મીનારાયણ ભગવાનનો જયઘોષ કર્યો.•