ઉજ્જૈનઃ જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીનાં રોજ ભસ્મારતી દર્શનની ઇચ્છા ધરાવનાર શ્રદ્ધાળુઓને માટે મંદિરનાં કાઉન્ટરેથી ઓફલાઇન અનુમતિ મળશે. મંદિર પ્રશાસને ભીડ નિયંત્રણને ધ્યાને રાખીને બે દિવસો માટે ઓનલાઇન પરવાનગીની સુવિધાને બંધ કરી દીધેલ છે.
મહાકાલ દર્શન સાથે અંગ્રેજી નવા વર્ષની શરૂઆત કરનારા દેશ વિદેશનાં શ્રદ્ધાળુઓને ભસ્મારતીનાં દર્શન માટે મંદિર જઇને પરવાનગી લેવાની રહેશે. મંદિર સમિતિએ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની ઓનલાઇન બુકિંગ બ્લોક કરી દીધી છે.
31 ડિસેમ્બરનાં રોજ ભસ્મારતી દર્શન કરવા આવનાર ભક્તોને 30 ડિસેમ્બરનાં રોજ મંદિરનાં ભસ્મારતી કાઉન્ટરેથી પરવાનગી મળશે. 1 જાન્યુઆરી માટે 31 ડિસેમ્બરનાં રોજ પરવાનગી આપવામાં આવશે.
પ્રતિદિન 1700 ભક્તોની પરવાનગીઃ
મંદિર પ્રશાસન પ્રતિદિન 1700 ભક્તોને ભસ્મારતીનાં દર્શન કરવાની અનુમતિ આપતા હોય છે. 400 ભક્તોને ઓનલાઇન અનુમતિ મળતી હોય છે. આને માટે શ્રદ્ધાળુને પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા ફી ચૂકવવાની હોય છે.
મંદિરનાં કાઉન્ટરેથી ઓફલાઇન અનુમતિ નિશુલ્ક આપવામાં આવે છે. પ્રતિદિન 750 સામાન્ય દર્શનાર્થીઓની પરવાનગી જારી થાય છે. આ સિવાય અંદાજે 550 ભક્તોને પ્રોટોકોલ અંતર્ગત દર્શનની અનુમતિ આપવામાં આવે છે.