લોકડાઉનને કારણે દૂરદર્શનના પોપ્યુલર શોઝ ફરી પ્રસારિત કરવામાં આવ્યાં છે. જેમાં રામાયણ અને મહાભારતને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ત્યારે આ શોના કલાકારો પણ ચર્ચામાં આવી ગયા છે. ત્યારે બીઆર ચોપડાની મહાભારતમાં દેવરાજ ઈન્દ્ર બનેલા સતીશ કૌલ વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર છે. ટેલિવિઝન અને પંજાબી સિનેમાના જાણીતા અભિનેતા સતીશ કૌલ આજે ગુમનામ જીવન જીવી રહ્યાં છે. પૈસાની તંગીને કારણે તેઓ પોતાની જરૂરિયાત પણ પૂરી નખી કરી શકી રહ્યાં.
મહાભારતના ઈન્દ્ર સતીશ કૌલની હાલત ખરાબ
ખાવા-પીવા અને દવાઓ માટે નથી પૈસા
આ એક્ટ્રેસે તેમને મદદ કરવાની કરી અપીલ
તમને જણાવી દઈએ કે, 70 વર્ષીય સતીશ કૌલે લુધિયાણામાં પોતાની એક એક્ટિંગ સ્કૂલ પણ ખોલી હતી. જોકે, તે ફ્લોપ જતાં તેમના બધાં પૈસા ડૂબી ગયા. એક સમયે જે એક્ટર કરોડોમાં રમતો હતો, તેની પાસે ખાવા પીવા અને દવાઓ લેવા માટે પણ પૈસા નથી.
પંજાબી એક્ટ્રેસ પ્રીતિ સપ્રુ સતત સતીશ કૌલના સંપર્કમાં રહે છે. પ્રીતિએ કહ્યું કે, જ્યારે પણ સતીશ કૌલને કોઈ તકલીફ હોય તેઓ મને કોલ કરે છે. આ જ કારણથી હું તેમની હાલની પરિસ્થિતિ જાણું છું. તેઓ છેલ્લા 3 વર્ષથી સત્યા (નર્સ)ના ઘરે રહે છે. તેઓ લુધિયાણામાં વૃદ્ધાશ્રમમાં રહેતા હતા ત્યારથી જ સત્યા તેમનું ધ્યાન રાખી રહી છે. એક શૂટિંગ માટે જ્યારે હું પંજાબ પહોંચી તો તેમને મળવા પણ ગઈ હતી અને મેં તેમના માટે પંજાબ સરકારથી મદદની પણ અપીલ કરી હતી. જે બાદ પંજાબ સરકારે તેમને 5 લાખ રૂપિયાની મદદ કરી હતી.
પ્રીતિ આગળ કહે છે કે, સતીશ કૌલની આ સ્થિતિ તેમની મૂર્ખામીને કારણે જ થઈ છે. તેમણે જીવનમાં સમજી-વિચારીને નિર્ણયો લેવાની જરૂર હતી. જ્યારે તેઓ કમાતા હતા ત્યારે તેમણે કોઈ પૈસા બચાવ્યા નહી અને હવે તેમને સંપૂર્ણપણે બીજાઓ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. તેઓ તૂટી ગયા છે. સારું હોત કે તેમને ફરી સીરિયલ અને પંજાબી ફિલ્મમાં કામ મળી શકતું. દુર્ભાગ્યવશ ત્રણ વર્ષ પહેલાં તેઓ પડી ગયા હતા અને તેમના કરોડરજ્જૂમાં ફ્રેક્ચર થયું હતું. જેના કારણે તેમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું. જેથી મેં અને મારી બહેને સર્જરી માટે તેમને પૈસા મોકલ્યા હતા.
પ્રીતિ છેલ્લે પાંચ મહિના પહેલાં સતીશને મળી હતી, જ્યારે સતીશ કૌલ મુંબઈ આવ્યા હતા. પ્રીતિએ જણાવ્યું કે, તેણે સતીશ અને સત્યાને લંચ માટે આમંત્રિત કર્યા હતા. મેં તેમને ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (આઈએમપીએએ)ને આર્થિક સહાય માટે પત્ર લખવા પણ કહ્યું, કેમ કે એસોસિએશન ઘણાં જરૂરીયાતમંદ લોકોને મદદ કરે છે. મને લાગે છે કે, સરકાર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એવો પ્લાન બનાવવો જોઈએ જેથી કલાકારોનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે. જેથી ઉંમર થતાં તેમને કોઈની મદદની જરૂર ન પડે.
પ્રીતિ ઈચ્છે છે કે, સતીશ કૌલ ફરી વૃદ્ધાશ્રમ જતાં રહે અને ત્યાં શાંતિથી આરામદાયક જીવન જીવે. તેણે કહ્યું કે, લોકડાઉન પછી હું પંજાબ જવાની છું. ત્યાં લુધિયાણામાં ખૂબ જ સારું વૃદ્ધાશ્રમ છે જ્યાં સતીશ શાંતિથી રહી શકે છે. પૈસા ન હોવાથી સતીશ સત્યાના ઘરે રહેવા જતાં રહ્યાં છે. જેથી હું વૃદ્ધાશ્રમના ઓનરને ડિસ્કાઉન્ટ માટે રિક્વેસ્ટ કરીશ અને સતીશના ખર્ચાઓનું પણ ધ્યાન રાખીશ. તેમને ડાયાબિટીસની સાથે અન્ય તકલીફો પણ છે. પ્રીતિએ એ પણ ખુલાસો કર્યો કે, સતીશના ખરાબ સમયને કારણે તેની પત્ની અને બાળકો તેને છોડીને નથી ગયા, પરંતુ લગ્નના થોડાં જ સમયમાં આ બંને અલગ થઈ ગયા હતા.