ગઢગીરનારની તળેટીમાં શિવરાત્રીના પર્વ અને મેળાને હવે થોડા જ દિવસોની વાર છે. સ્થાનિય લોકો દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. પરંતુ હજુ સુધી તંત્ર કે, સરકાર શિવરાત્રીને લઈને જાગી નથી. ત્યારે કેવી છે તૈયારીઓ અને શું છે જૂનાગઢવાસીઓની માગ...
જૂનાગઢ શિવરાત્રીના મેળાની તૈયારીઓ શરૂ
સ્થાનિક લેવલે તૈયારીઓ, પણ સરકાર મૌન!
ભક્તોની શિવરાત્રીનો મેળો યોજવા માગ
મહાશિવરાત્રીને હવે 1 મહિનાની જ વાર છે ત્યારે સ્વાભાવિક છે કે, દેશના મિની કુંભ મેળાની જૂનાગઢમાં તૈયારીઓ શરૂ થવાની છે. કારણ કે, આપણે ત્યાં ગીરનારની તળેટીમાં દર વર્ષે મહાશિવરાત્રીનો મેળો યોજાય છે. તેમાં લાખો સાધુ-સંતો અને ભક્તો ઉમટે છે. જેથી આ મેળાને મીનિ કુંભના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી આપણા દરેક તહેવારમાં બાધારૂપી બની છે. તેવામાં શિવરાત્રી આવી રહી છે. સ્થાનિક લોકો અને સાધુ-સંતો તૈયારીઓ પણ કરવા લાગ્યા છે. પરંતુ હજૂ સુધી શિવરાત્રીને લઈને ન તો સ્થાનિક તંત્ર કે ન તો સરકાર જાગી છે. એક તરફ હરિદ્વારમાં યોજાનાર કુંભના મેળાને મંજૂરી પણ મળી ચૂકી છે. જ્યારે બીજી તરફ ગુજરાતની સરકાર કે, જૂનાગઢના સ્થાનિય તંત્રએ કોઈપણ પ્રકારની શિવરાત્રીના મેળાને લઈને મંજૂરી આપી નથી. તેવામાં સરકાર મેળાને મંજૂરી આપે તેવી માગ ઉઠી રહી છે.
મહત્વનું છે કે, વર્ષોથી પરંપરા છે કે, મહાશિવરાત્રી પહેલા જ જૂનાગઢ તંત્ર તેની તૈયારીઓ શરૂ કરી દે છે. જેમાં સાધુ-સંતોના ઉતારા, મંડપ અને શ્રદ્ધાળુ માટેની વ્યવસ્થાઓ તથા ટ્રાફિકને લઈને રૂટની તૈયારીઓ કરવામાં આવે છે. આ સાથે જ અત્યારથી જ અન્નક્ષેત્રો માટે ફાળો ઉઘરાવવો, સીધો સામગ્રી ઉઘરાવવી અને અન્ન ક્ષેત્રો માટે જગ્યા તૈયાર કરવાની હોય છે. તેવામાં સાધુ-સંતો દ્વારા અનેક વખત તંત્રને શિવરાત્રીના મેળાને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે. પરંતુ હજૂ સુધી તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું.
અત્યાર સુધી તો દિવાળી સિવાયના તમામ તહેવારો અને મેળાઓ પર કોરોનાને જોતા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ હાલની તારીખે હવે કોરોના પર પણ કાબુ મેળવાઈ ચૂક્યો છે. તેવામાં શ્રદ્ધાળુઓથી માંડીને સાધૂ-સંતોની માગ છે કે, સરકાર કોરોનાની ગાઈડલાઈન સાથે શિવરાત્રીના મેળાની પરવાનગી આપે. તેવામાં જોવાનું એ રહેશે કે, સરકાર મહામારીના સમયમાં શિવરાત્રીના મેળા માટે મંજૂરીની મહોર લગાવે છે કે નહીં.