સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અને રાજકારણી અતીક અહેમદને અમદાવાદની સાબરમતી જેલમાં લવાયો છે. વારાણસીથી સવારે અહેમદને ફ્લાઈટમાં અમદાવાદ લવાયો હતો. એરપોર્ટથી સીધો જ જેલમાં મોકલાયો હતો. જ્યાં તેને હાઈસિક્યુરીટીમાં સાબરમતી જેલમાં રખાશે.
ઉત્તરપ્રદેશમાં રિયલ એસ્ટેટના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનાર કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમહને વિમાન માર્ગે સવારે 11 વાગ્યાની આસપાસ વારાણસીથી અમદાવાદ લાવવામાં આવ્યો. અતિકને સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાઈસિક્યુરીટીમાં રાખવામાં આવશે. અતિકને જ્યારે અમદાવાદ લાવવામાં આવ્યો ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના ઘેરા વચ્ચે અતીક અહેમદને એરપોર્ટથી સીધો પોલીસ કાફલા સાથે સાબરમતી જેલમાં લઈ જવાયો હતો. જેલમાં પણ હાઈસિક્યુરીટી વચ્ચે તેને રાખવામાં આવ્યો છે.
અતિક અહેમદનું ઉત્તરપ્રદેશમાં બહુ મોટું નેટવર્ક
ઉત્તરપ્રદેશના પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર એવા અતિક અહેમદના સાગરીતોએ મોહિત નામના વેપારીનું અપહરણ કરી લીધું હતું. બાદમાં તેને દેવરિયા જેલમાં લઈ જઈ માર માર્યો હતો. રિવોલ્વર બતાવી 5 કંપનીની માલિકીનો હક પણ બે યુવકના નામે કરાવી લીધો હતો. અપહરણની અને મારમારીની ઘટના અંગે CBIને તપાસ સોપાઈ હતી અને સુપ્રીમકોર્ટે આ કેસની ગંભીરતાથી નોંધ લઇ નૈની જેલમાંથી ગુજરાતની જેલમાં ખસેડવા આદેશ કર્યો હતો. અતિક અહેમદનું ઉત્તરપ્રદેશમાં બહુ મોટું નેટવર્ક છે. તેની સામે 109 ગુના નોંધાયા છે અને તેની ગેંગમાં 121 લોકો કામ કરે છે. ઉત્તરપ્રદેશની કોઈપણ જેલમાં જાય ત્યાં તેનું મોટું નેટવર્ક હોય છે અને તે જેલમાં આરામથી ખંડણી અને અપહરણ જેવા ગુનાને અંજામ આપતો રહે છે. તો અહેમદને સાબરમતી જેલમાં લાવતા પહેલા શુક્રવારે અધિક ગૃહ સચિવ એમ.એ.તિવારી, જેલોના વડા મોહન ઝા સહિતના અધિકારીઓએ સાબરમતી જેલની મુલાકાત લીધી હતી. કુખ્યાત ગેંગસ્ટર અતિકને જેલમાં રાખવા બાબત અંગેની ચકાસણી કરી હતી. તમામ ચકાસણી બાદ તેને જેલમાં લવાયો હતો.
અહેમદનું ફુલોથી જગજાહેર સ્વાગત, ગુજરાત માટે શરમજનક ઘટના
તો જ્યારે યુપીના આ ગેંગસ્ટરને અમદાવાદ એરપોર્ટ લવાયો ત્યારે એરપોર્ટ પર તેના અનેક સમર્થકો ઉપસ્થિત હતા. તેના સમર્થનમાં સુત્રો લગાવ્યા હતા. ફુલ પણ ફેંક્યા હતા. ગુજરાત જેવા શિક્ષિત શાંત રાજ્યમાં આ પ્રકારે એક ગેંગસ્ટરનું ફુલોથી સ્વાગત કરવું કેટલું યોગ્ય છે. જેણે નિર્દોષોના લોહી વહાવ્યા છે. અનેક લોકોના ઘર ભાંગ્યા છે. તે અતિક અહેમદનું ફુલોથી જગજાહેર સ્વાગત ગુજરાત માટે શરમજનક ઘટના કહી શકાય. તો એ પણ જાણવા જેવું છે કે એક ગુંડાનું ફુલોથી સ્વાગત કરનારા કોણ હતા ? પોલીસે આ સમર્થકો પર નજર રાખવી પડશે. કારણ કે આપણા ગુજરાત જેવા રાજ્યમાં એક ગુંડાના સમર્થકો તેના નામના સરાજાહેર સુત્રો પોકારે અને ફુલોથી સ્વાગત કરે તે સારા સંકેતો નથી. કારણ કે આપણા ગુજરાતને લતીફ જેવા નેતા અને ગુંડાની ચુંગાલમાંથી બહાર નીકળતા અનેક વર્ષો નીકળી ગયા હતા. લતીફનો સમય ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદી લોકોએ જોયો છે. તેના ત્રાસ અને આતંકી પ્રવૃત્તિથી સૌ કોઈ માહિતગાર છે. ગુજરાતને ફરી પાછા લતીફ જેવા સમયની જરૂર નથી. અતીક અહેમદ જેવા ગેંગસ્ટરોનું આ પ્રકારે ફુલોથી સ્વાગત થશે તો ફરી પાછો લતીફ જેવો સમય આવતા વાર નહીં લાગે. ગુજરાતને યુપી, બિહાર બનતા પણ વાર નહીં લાગે.
અહેમદ વિરૂદ્ધ 109 કેસ ચાલી રહ્યા છે...
આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં જ્યારે અતિક અહેમદ મામલે સુનાવણી ચાલી રહી હતી. ત્યારે ઉત્તરપ્રદેશ સરકારે અતીક અહેમદ સામેના તમામ કેસની જાણકારી આપી હતી. યુપી સરકાર મુજબ અતીક અહેમદ સામે 1979થી 2019 સુધી કુલ 109 કેસ ચાલી રહ્યા છે. જેમાં 17 કેસ કલમ-302ના, 12 કેસ ગેંગસ્ટર એક્ટના, 8 કેસ આર્મ્સ એક્ટના, અને 4 કેસ ગુંડા એક્ટ મામલે દાખલ થયેલા છે. સરકારી રેકોર્ડ મુજબ અતીક અહેમદ સામે 8 કેસ 2015થી 2019 વચ્ચે નોંધાયા હતા. જેની હજુ સુધી તપાસ ચાલી રહી છે. આ કેસોમાંથી બે કેસ કલમ-302માં પણ સામેલ છે.
મહત્વનું છે કે અતીક અહેમદ યુપીના પૂર્વાંચલનો એક મોટો બાહૂબલી છે. પૂર્વાંચલ અને પ્રયાગરાજમાં સરકારી કોન્ટ્રાક્ટ અને અપહરણ, ખંડણીના અનેક મામલા તેનું નામ સામેલ છે. અતીક અહેમદ સામે યુપીના લખનઉ, કૌશમ્બી, ચિત્રકૂટ, પ્રયાગરાજ જ નહીં પણ બિહારમાં હત્યા, અપહરણ, ખંડણીના પણ અનેક કેસ નોંધાયેલા છે. અતીકની સામે સૌથી વધારે કેસ પ્રયાગરાજમાં નોંધાયેલા છે.