ધર્મને આધારે દેશને વિભાજીત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે
હાલમાં કર્ણાટકમાં હિજાબને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. કર્ણાટક હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. ત્યારે હવે મદ્રાસ હાઈકોર્ટે દેશને ચેતનાને ઢંઢોળતો એક ધારદાર સવાલ પૂછ્યો છે. દેશમાં ધાર્મિક એકતા ખંડિત કરવાની પ્રવૃતિ પર હેરાનગતી વ્યક્ત કરતા મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે પહેલા શું જરુરી છે કે રાષ્ટ્ર કે ધર્મ.
કેટલીક તાકતોએ ડ્રેસ કોડને લઈને નકામો વિવાદ પેદા કર્યો
મદ્રાસ હાઈકોર્ટના કાર્યવાહક ચીફ જસ્ટિસ એમ.એન.ભંડારી અને જસ્ટિસ ડી ભરત ચક્રવર્તીની બેન્ચે ક હ્યું કે કેટલીક તાકતોએ ડ્રેસ કોડને લઈને વિવાદ પેદા કર્યો છે અને આ આખા ભારતમાં ફેલાઈ રહ્યો છે. બેન્ચે કહ્યું કે આ ખરેખર સ્તબ્ધ બનાવી મૂકે છે કે કોઈ વ્યક્તિ હિજાબના પક્ષમાં છે તો કોઈ વળી ટોપીના પક્ષમાં તો બીજા કોઈ બીજી કોઈ વસ્તુના ટેકામાં. આ એક દેશ છે કે ધર્મ કે આ પ્રકારની બાબતોને આધારે દેશ વિભાજીત થયો છે. આ ઘણી નવાઈની વાત છે.
હિજાબ વિવાદથી દેશને કંઈ મળવાનું નથી
મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે ભારત પંથનિરપેક્ષ દેશ છે. હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેનાથી કંઈ મળવાનું નથી. પરંતુ ધર્મને નામે દેશને વિભાજીત કરવાની કોશિશ થઈ રહી છે.
હિજાબને લઈને વિવાદ 1 જાન્યુઆરીથી કર્ણાટકના ઉડુપીમાં શરૂ થયો હતો, જે બાદ 1 જાન્યુઆરીએ શિમોગા સહિત અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. કુંડાપુરા કોલેજની ૨૮ મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને ક્લાસમાં જવાથી રોકવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ આ મામલે હાઇકોર્ટમાં અરજી કરી હતી કે, ઇસ્લામમાં હિજાબ ફરજિયાત છે, તેથી તેમને આમ કરવા દેવું જોઇએ. આ વિદ્યાર્થીઓ પણ કોલેજના ગેટ સામે બેસીને ધરણા કરવા લાગ્યા હતા. છોકરીઓએ હિજાબ પહેર્યું હોવાના જવાબમાં કેટલાક હિન્દુ સંગઠનોએ છોકરાઓને કોલેજ કેમ્પસમાં ભગવા શાલ પહેરવાનું કહ્યું હતું. સાથે જ હુબલીમાં શ્રીરામ સેનાએ કહ્યું હતું કે જે લોકો બુરખા કે હિજાબની માંગ કરી રહ્યા છે તેઓ પાકિસ્તાન જઈ શકે છે. આ સવાલ પણ ઉઠાવવામાં આવ્યો હતો કે શું હિજાબ પહેરીને ભારતને પાકિસ્તાન કે અફઘાનિસ્તાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.