મધ્યપ્રદેશના સીહોરમાં એક મતગણના કેન્દ્ર પર સીહોર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ રતન સિંહ ઠાકુરનું હાર્ટ અટેકથી મોત થઇ ગયું. જાણવા મળી રહ્યું છે કે રતન સિંહ ઠાકુર મતગણના કેન્દ્ર પર વોટોની ગણતરી કરવા પહોંચ્યા હતા, પરંતુ અચાનક તે બેભાન થઇ ગયા.
મતગણના કેન્દ્ર પર હાજર લોકોએ જણાવ્યું કે સીહોર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ રતન સિંહ ઠાકુર પોતાના સાથીઓની સાથે મતગણના કેન્દ્ર પર આવ્યા હતા. ત્યારે જ પરિણામ જોઇને બેભાન થઇને ખુરશી પર પડ્યા. એમને તત્કાળ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યાં તેમનું મોત થઇ ગયું.
ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનું કાઉન્ટિગ ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશમાં ખાસ કરીને ભાજપ મોટી જીત તરફ છે. કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતા હારતા જોવા મળી રહ્યા છે.
2014ની લોકસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં ભાજપે મોટી બાજી મારી હતી. અહીંયાની 29 લોકસભા સીટોમાંથી 27 સીટો પર ભાજપે કબ્જો કર્યો હતો. જ્યારે કોંગ્રેસ માત્ર 2 સીટો પર જ જીતી શકી હતી.
જો કે મોદી લહેર હોવા છતા મધ્ય પ્રદેશની ગુના અને છિંદવાડા સીટ ભાજપ કોંગ્રેસ પાસેથી છીનવી શકી નહતી. પરંતુ આ વખત કોંગ્રેસની બચેલી સીટો પણ જતી જોવા મળી રહી છે.