મધ્યપ્રદેશમાં નકલી દૂધના કાળા ધંધામાં બ્રાન્ડેડ કંપનીઓમાં પણ જીવલેણ કેમિકલવાળા દૂધનો સપ્લાય થતો હતો. આ સનસનીખેજ ખુલાસો નકલી દૂધના આ ગોરખધંધાનો ખુલાસો કરનારી એસટીએફની શરૂઆતની તપાસમાં થયો છે.
એસટીએફ એસપી રાજેશસિંહ ભદોરિયાએ જણાવ્યું કે આરોપીઓએ કબૂલ્યું છે કે ટેન્કરથી ઘણી બ્રાન્ડેડ કંપનીઓને દૂધનો સપ્લાય કર્યો હતો અને શરૂઆતની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સ્થાનિક સ્તરે સેટિંગ કરી મોટી મોટી બ્રાન્ડેડ કંપનીઓને નકલી દૂધનો સપ્લાય થાય છે.
નકલી દૂધના આરોપીઓ સામે કઠોર કાર્યવાહી કરવા માટે અને પુરાવાઓને વધુ મજબૂત બનાવવા માટે એસટીએફ નકલી દૂધની ફોરેન્સિક તપાસ કરવા જઇ રહી છે. રાજેશસિંહ ભદોરિયાએ જણાવ્યું કે દૂધમાં જે ખતરનાક કેમિકલ ભેળવાયાં છે તે જીવનને નુકસાન પહોંચાડનાર છે.
નકલી દૂધની ફોરેન્સિક તપાસ કરાઇ રહી છે, તેનાથી કેમિકલ એનાલિસિસ કરીને સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ થઇ શકશે. ફૂડ વિભાગ જે તપાસ કરે છે તે સામાન્ય હોય છે. ફૂડ લેબમાં માત્ર દૂધના બેઝિક કન્ટેન્ટની તપાસ થાય છે, પરંતુ ફોરેન્સિક તપાસમાં કયા પ્રકારનાં ખતરનાક કેમિકલ ભેળવવામાં આવ્યાં તેની તપાસ થાય છે.