મધ્યપ્રદેશ લોકસેવા આયોગ દ્વારા લેવાયેલી એક પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછાયેલા એક સવાલને કારણે ઘમાસાણ મચી ગયું છે. પેપરમાં ભીલ જાતિ પર પૂછાયેલા એક સવાલને ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ભાજપના ધારાસભ્ય રામ દાંગોરેએ આ બાબતને આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું છે. એટલું જ નહીં તેમણે પેપર સેટ કરનાર અધિકારી સામે કાર્યવાહીની માગણી કરી છે.
મધ્યપ્રદેશ લોકસેવા આયોગની ભૂલ
પ્રશ્નપત્રએ જગાવ્યો વિવાદનો વંટોળ
ભીલ જાતિ વિશે હીણપતભરી ટિપ્પણી
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ સામેના આ સૂત્રોચ્ચારો આવનારા દિવસોમાં સરકાર માટે મોટી મુસીબત ઊભી કરે તો નવાઈ નહીં. કેમકે મધ્યપ્રદેશમાં આદિવાસી સમુદાય લોકસેવાઆયોગના વલણ સામે ભારે નારાજ થયો છે. હાલમાં મધ્યપ્રદેશ લોકસેવા આયોગ દ્વારા પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં એક પ્રશ્નપત્રમાં ભીલ સમાજને હીણપત લાગે તેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યા હોવાની લાગણી ભીલ સમાજમાં ઊભી થઈ છે.
ભીલ સમાજમાં સરકાર સામે આક્રોશ
ભીલોને ગુનાઈત પ્રવૃત્તિમાં ડૂબેલા દર્શાવીને તેના કારણો દર્શાવવામાં આવ્યા છે. એ વૈકલ્પિક જવાબો ભીલ સમાજ માટે અપમાનજનક છે. આ સવાલથી મધ્યપ્રદેશના ભીલ સમાજમાં સરકાર સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાજપના ધારાસભ્ય રામ ડાંગોરેએ આ ભીલ સમાજને હીણપત લગાડનારું પેપર સેટ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવાની માગ કરી છે.
ભાજપના ધારાસભ્ય રામ ડાંગોરે હતા પરીક્ષાર્થી
આપને જણાવી દઈએ કે, એમપીપીએસસી દ્વારા સમગ્ર રાજ્યમાં 12 જાન્યુઆરીએ પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ખુદ ભાજપના ધારાસભ્ય રામ ડાંગોરે પરીક્ષાર્થી હતા. રામ ડાંગોરે ભીલ સમાજમાંથી આવતા ભાજપના ધારાસભ્ય છે. યોગાનુયોગ આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં જ ભીલ સમાજ વિશે અપમાનજનક સંદર્ભ આપવામાં આવ્યો હતો..એ પછી રામ ડાંગોરેને કમલનાથ સરકાર પર પ્રહાર કરવાની તક મળી ગઈ અને કમલનાથ સરકારે બચાવમાં મૂકાવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ. કેમ કે, સમગ્ર ભારતમાં ભીલની વસતિ 1.6 કરોડ છે.
મધ્યપ્રદેશમાં જ 60 લાખ જેટલા ભીલ લોકો કરે છે વસવાટ
મધ્યપ્રદેશમાં જ 60 લાખ જેટલા ભીલ લોકો વસવાટ કરે છે. ભીલ સમુદાય દેશમાં સૌથી પ્રભાવશાળી જનજાતિ છે. ભીલ જાતિનો એક લાંબો સામાજિક અને રાજકીય ઈતિહાસ છે. ભીલ જાતિએ સ્વતંત્રતા આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. .દેશનો સાંસ્કૃતિક વારસો આદિવાસીઓને કારણે સંરક્ષિત છે..આદિવાસીઓના કારણે દેશના જંગલ સુરક્ષિત છે. પરંતુ આ પ્રશ્નપત્રમાં આદિવાસીઓ અંગે જે રીતે સવાલ પૂછાયા છે તેના કારણે આદિવાસીઓના આત્મસન્માનને ઠેસ પહોંચી છે..
દેશમાં સરકાર જાતિ, ધર્મ અને લિંગના આધારે એકતાની વાતો કરી રહી છે. તો બીજી તરફ મધ્યપ્રદેશ સરકારના જ એક વિભાગ અને એ પણ ખુદ શિક્ષણ સાથે જોડાયેલા વિભાગ દ્વારા ચોક્કસ જાતિને હીણપત લગાડે તેવી રીતે પ્રશ્નપત્ર સેટ કરાઈ રહ્યું છે. સવાલ એ છે કે, પેપર સેટ કરનાર તજજ્ઞ આદિવાસીઓની બાબતોથી માહિતગાર નહીં હોય? કે પછી વિવાદ જગાવવા માટે ઈરાદાપૂર્વક આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ બાબત રાષ્ટ્રીય એકતાના પ્રયાસોને નુકસાન કરે તેવી છે. સરકારે સંકલનના અભાવે સર્જાતી આ પ્રકારની સ્થિતિથી બચવું પડશે.