મધ્ય પ્રદેશમાં રાજકીય નાટક જારી છે. હવે રાજ્યપાલે 17 માર્ચે મુખ્યમંત્રી કમલનાથને બહુમત સાબિત કરવા કહ્યું છે. આ મામલે એક પત્ર જારી કરવામાં આવ્યો છે. જો કમલનાથ સરકાર બહુમત સાબિત નહીં કરે તો તેને અલ્પમત માનવામાં આવશે.
મધ્ય પ્રદેશ વિધાનસભાને કોરોના વાયરસને કારણે 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ફ્લોર ટેસ્ટના પડકારનો સામનો કરી રહેલા મુખ્યમંત્રી કમલનાથને તેનાથી મોટી રાહત મળી છે, કેમકે તેમના 20થી વધારે ધારાસભ્યો પોતાનુ રાજીનામુ આપી ચૂક્યા છે. જોકે હવે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે.
બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ગવર્નર કહ્યું હતું કે 16 માર્ચે ફ્લોર ટેસ્ટ કરવામાં આવે પરંતુ વિધાનસભા અધ્યક્ષ ફ્લોર ટેસ્ટ કરાવી રહ્યા નથી.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તરફથી સુપ્રીમ કોર્ટમાં માંગ કરાઇ છે કે ફ્લોર ટેસ્ટ જલ્દી જ કરાવવામાં આવે. જોકે, કોરોના વાયરસની અસર સુપ્રીમ કોર્ટમાં પણ જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટ ખુબ જ જરુરી મામલાઓની જ સુનાવણી કરી રહ્યું છે અને કોર્ટમાં વકીલોની મેડિકલ તપાસ કરાઇ રહી છે.
પહેલા મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનના નિર્દેશો બાદ ગૃહમાં શક્તિ પરીક્ષણ કરાવવા બીજેપીની માંગ અને પ્રદેશ સરકાર દ્વારા સ્પીકરનું ધ્યાન કોરોના વાયરસના ખતરા તરફ આકર્ષિત કરવાની વચ્ચે વિધાનસભા અધ્યક્ષે સોમવારે ગૃહની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરી દીધી. રાજ્યપાલ દ્વારા શનિવારે મુખ્યમંત્રી કમલનાથને પત્ર લખીને વિશ્વાસ મત હાંસલ કરવાના નિર્દેશનો હવાલો આપતા બીજેપીએ અભિભાષણની વચ્ચે શક્તિ પરીક્ષણ કરાવવાની માંગ કરી હતી.
રાજ્યપાલને ગૃહમાં અભિભાષણ વાંચતા એક મિનિટ જ થઇ હતી કે ભાજપના નેતા ડૉ. નરોત્તમ મિશ્રાએ કહ્યું કે રાજ્યપાલ એવી સરકારનું અભિભાષણ વાંચી રહ્યા છે જે અલ્પમતમાં છે. જોકે, રાજ્યપાલે ધારાસભ્યોને અપીલ કરી કે તેઓ નિયમોનું પાલન કરે અને શાંતિથી કામ લે. તેઓએ ધારાસભ્યોને લોકતંત્રની ગરિમા બનાવી રાખવા માટે બંધારણીય પરંપરાઓનું પાલન કરવાનો આગ્રહ કર્યો.