સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મધ્ય પ્રદેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ વિધાનસભાના સ્પીકરે કોંગ્રેસના 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં મંજૂર કરી દીધાં છે. હાલમાં આ ધારાસભ્યો બેંગલુરૂમાં છે.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારના રોજ સુપ્રીમ કોર્ટે સ્પીકરને કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં મંજૂર નહી કરવાને લઇને સવાલ કર્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આજે સાંજ 5 વાગ્યા સુધીમાં બહુમતિ સાબિત કરવા જણાવ્યું હતું.
મધ્યપ્રદેશના સ્પીકર એન પી પ્રજાપતિએ કહ્યું કે જે 16 ધારાસભ્યોએ 10 માર્ચના રોજ રાજીનામાં આપ્યાં હતા તેમના રાજીનામાં મંજૂર કરી લેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં બહુમતિ સાબિત કરવા જણાવ્યું છે.
મધ્ય પ્રદેશમાં હાલ ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે સ્પીકરે 16 બળવાખોર નેતાના રાજીનામાં મંજૂર કરી લીધા છે. ધારાસભ્યોના રાજીનામાં સ્વીકાર થવાથી રાજ્યમાં હવે કમલનાથ સરકાર તુટી પડવાની લગભગ નક્કી છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ મુખ્યમંત્રી કમલનાથ બહુમતિ પરીક્ષણ પહેલા જ રાજીનામું આપી શકે છે. જો કે કમલનાથે આજે પોતાના નિવાસ સ્થાન પર પત્રકાર પરિષદ બોલાવી છે.