મધ્યપ્રદેશના રાજકીય સંકટની વચ્ચે સોમવારે જ્યાં એક તરફ બીજેપીના 106 ધારાસભ્યોની રાજ ભવનમાં જઇને રાજ્યપાલની સામે પરેડ કરાવવામાં આવી. જ્યારે પાર્ટીના એક ધારાસભ્ય એવા હતા જે રાજભવન તો ન ગયા. પરંતુ મુખ્યમંત્રી કમલનાથની મુલાકાત લીધી.
હું હાલ બીજેપીનો ધારાસભ્ય છું. બાકી આગળ જ્યારે સમય આવશે તો નિર્ણય લઇશ : નારાયણ ત્રિપાઠી
મૈહરથી ભાજપ ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી સોમવારે ભોપાલમાં હતા. વિધાનસભા સત્ર 26 માર્ચ સુધી સ્થગિત થયા બાદ ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી બહાર તો નીકળ્યા પરંતુ પાર્ટી ધારાસભ્યો સાથે રાજભવન ન ગયા. તેઓે અહીંથી નીકળીને મુખ્યમંત્રી હાઉસ પહોંચ્યા અને કમલનાથ સાથે મુલાકાત કરી. આ મુલાકાત લગભગ 20 મિનિટ સુધી ચાલી. ત્યારબાદ નારાયણ ત્રિપાઠીએ પત્રકારો સાથે વાતચીત કરી.
પત્રકારોએ જ્યારે નારાયણ ત્રિપાઠીને પૂછ્યુ કે તેઓ મુખ્યમંત્રી હાઉસ કેમ આવ્યા હતા તો તેઓએ કહ્યું કે મેં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી, તેમની સાથે વાતચીત કરી અને બહાર આવ્યો. મુખ્યમંત્રી સાથે મુલાકાત થશે તો કયા સંબંધમાં થશે, હું તો સૌને મળું છું. આજે હું શિવરાજ સિંહ ચૌહાણને પણ મળીશ.
રાજભવન ન જવાના સવાલ પર નારાયણ ત્રિપાઠીએ કહ્યું કે 'હું ન ગયો કેમકે આ મારું મન છે. હું હાલ બીજેપીનો ધારાસભ્ય છું. બાકી આગળ જ્યારે સમય આવશે તો નિર્ણય લઇશ.'
રાજ્યપાલનું મુખ્યમંત્રીને અલ્ટિમેટમ
નોંધનીય છે કે રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રી કમલનાથને કાલે એટલે કે 17 માર્ચે બહુમતી સાબિત કરવા માટે કહ્યું છે. આ મામલે એક પત્ર જારી કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જો કમલનાથ સરકાર બહુમતી સાબિત નહીં કરે તો તેને અલ્પમત માનવામાં આવશે.