જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા બાદથી મધ્યપ્રદેશમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થનમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું છે, જેને પગલે કમલનાથ સરકાર પર સંકટના વાદળ ઘેરાયા છે.
સિંધિયાના કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા બાદથી મધ્યપ્રદેશમાં રાજકીય ઘમાસાણ
CM કલમનાથ અને કોંગ્રેસની પાસે MPમાં સરકાર ચલાવવાનો બંધારણીય અધિકાર નથી: શિવરાજ સિંહ ચૌહાણ
બીજી તરફ ભાજપે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવાની કવાયત તેજ કરી દીધી છે. શનિવારે બીજેપી નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યપાલ લાલજી ટંડનની મુલાકાત લીધી. આ દરમિયાન તેઓએ રાજ્યપાલ લાલજી ટંડનને મેમોરેન્ડમ મોકલ્યું અને જલ્દી જ ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી.
શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યપાલને સોંપેલા મેમોરેન્ડમમાં કહ્યું કે કમલનાથ સરકારના 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. જેના કારણે તેઓે બહુમતી ગુમાવી ચૂક્યા છે. રાજ્યની અલ્પમત સરકારને સત્તામાં રહેવાનો કોઇ નૈતિક અને બંધારણીય અધિકાર નથી.
તેઓએ કહ્યું કે મુખ્યમંત્રી કમલનાથ અને તેમના મંત્રીઓએ વિના કોઇ વિલંબે ફ્લોર ટેસ્ટ કરાવો જોઇએ અને વિશ્વાસ મત હાંસલ કરવો જોઇએ. મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનને મળ્યા બાદ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું છે અને વીડિયો જારી કરીને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે તેઓએ પોતાની મરજીથી રાજીનામુ આપી દીધું છે. આમ કમલનાથ સરકાર અલ્પમતમાં મુકાઇ ગઇ છે અને બહુમતી ગુમાવી દીધી છે.
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હવે મુખ્યમંત્રી કલમનાથ અને કોંગ્રેસની પાસે મધ્ય પ્રદેશમાં સરકાર ચલાવવાનો બંધારણીય અધિકાર નથી. અમે માંગ કરી છે કે સૌથી પહેલા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવામાં આવે. હવે રાજ્યપાલના અભિભાષણ અને બજેટ સત્રનો કોઇ અર્થ નથી. પહેલા કમલનાથ સરકારે વિશ્વાસ મત હાંસલ કરવો જોઇએ.