સિંધિયા પરિવારના ઉત્તરાધિકારી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કોંગ્રેસ છોડવા સાથે મધ્યપ્રદેશની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. આ મામલે જ્યારે બુધવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી સાથે સવાલ થયો તો તેઓએ કંઇપણ બોલવાથી ઇનકાર કર્યો.
સંસદ ભવન ખાતે પહોંચેલા રાહુલ ગાંધીએ સિંધિયાના રાજીનામા પર કોઇ જવાબ ન આપ્યો
મધ્ય પ્રદેશના દિગ્ગજ નેતા સિંધિયાની ગણતરી એ નેતાઓમાં થતી હતી જે રાહુલ ગાંધીના નજીક રહ્યા છે
બુધવારે સવારે જ્યારે રાહુલ ગાંધી સંસદ ભવન ખાતે પહોંચ્યા તો મીડિયાએ તેમની સાથે સિંધિયાના રાજીનામા પર સવાલ કર્યો. જોકે, રાહુલ ગાંધીએ તેના પર કોઇ જવાબ આપ્યો નહીં. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં સરકારને અસ્થિર કરવાનો પીએમ મોદી પર આરોપ લગાવ્યો છે.
મધ્ય પ્રદેશના દિગ્ગજ નેતા સિંધિયાની ગણતરી એ નેતાઓમાં થતી હતી જે રાહુલ ગાંધીના નજીક રહ્યા છે. રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા, ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાની ગણતરી તેમના નજીક ગણાતા નેતાઓમાં થતી હતી. આટલું જ નહીં પરંતુ લોકસભામાં પણ બંને નેતાઓ એક સાથે બેસતા હતા.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે આપ કોંગ્રેસની એક ચૂંટાયેલી સરકાર પાડી દેવામાં વ્યસ્ત છો, ત્યારે કદાચ આપ વૈશ્વિક સ્તર પર તેલની કિંમતોમાં 35 ટકાના ઘટાડાનો ફાયદો ઉઠાવવાથી ચૂકી શકો છો. શું આપ પેટ્રોલની કિંમત 60 રૂપિયા પ્રતિ લીટરથી ઓછુ કરીને ભારતીયોને ફાયદો પહોંચાડી શકો છો. આ ડગમગતી અર્થવ્યવસ્થાને આગળ વધવામાં મદદ કરશે.
રંગોના તહેવાર હોળી પર જ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસથી મોટો ઝટકો લાગ્યો. તેઓએ પત્ર જાહેર કરીને પોતાનુ રાજીનામુ આપ્યું અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પણ છોડી દીધી. જ્યોતિરાદિત્ય સિંધિયાના જવાની સાથે જ તેમના સમર્થક 22 ધારાસભ્યોએ પણ પાર્ટી છોડીને ચાલ્યા ગયા. તેની સાથે જ કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં લઘુમતીમાં આવી ગઇ છે અને હવે વિધાનસભામાં બહુમતીનું સંકટ તોળાઇ રહ્યું છે.
પોતાના રાજીનામામાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પત્રમાં લખ્યું કે ગત એક વર્ષમાં તેમની પાર્ચીએ જે વર્તન કર્યું, તેના પરિણામે આજે તેઓ અલવિદા કહી રહ્યા છે. મધ્યપ્રદેશમાં જારી રાજકીય હલચલની વચ્ચે બંને પાર્ટીઓ પોતાના ધારાસભ્યોને સુરક્ષિત કરવામાં લાગી ગઇ છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જયપુરમાં મોકલી દીધા છે. જ્યારે ભાજપે પોતાના ધારાસભ્યોને ગુરુગ્રામ લઇ આવી છે.