અમરકંટકથી શરૂ થયેલી અને ગુજરાતીઓને પાવન કરતી અને રેવાના હુલામણા નામથી જાણીતી નર્મદા નદીની આરાધના માટે દર વર્ષે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે નર્મદાને પ્રદૂષણ મુક્ત કરવા માટે મધ્યપ્રદેશમાં આ વખતે નર્મદા જયંતી પર પાંદડાં અને લોટના દીપકથી દીપદાન કરવામાં આવ્યું હતું. આ પહેલમાંથી ગુજરાતના નાગરિકો પણ પ્રેરણા લેશે તો ચોક્કસ આપણે પણ આપણી નદીઓને પ્રદૂષિત થતાં બચાવી શકીશું
મધ્યપ્રદેશના હોશંગાબાદમાં ઝાડનાં પાંદડાં અને લોટના દીપક બનાવવામાં આવ્યા હતા. બજારમાં ઓડિશાથી લવાયેલાં પતરાળાં પણ વેચાઇ રહ્યાં છે. તેમાં દીપદાન કરાયું હતું. આ પ્રયાસનો ઉદ્દેશ નર્મદાને પ્રદૂષણથી બચાવવાનો હતો. જે દર વર્ષે પ્લાસ્ટિકના દીપકોના કારણે પ્રદૂષિત થાય છે.
જાગૃત નાગરિકોની અનોખી પહેલ
ઉલ્લેખનીય છે કે દર વર્ષે નર્મદા જયંતી પર હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ નદીમાં દીપદાન કરે છે. કેટલાંક વર્ષોથી પ્લાસ્ટિકના દીવડાઓમાં મીણબત્તીનો ઉપયોગ કરીને દીપદાન કરવામાં આવે છે. તેનાથી નદી પ્રદૂષિત થાય છે. તેને જોતાં જાગૃત નાગરિકોએ આ પહેલ કરી છે.
ઝાડનાં પાંદડાંઓમાંથી દીપક બનાવાયાં
વડ, પીપળો, પલાશ, ઇલાયચી વગેરેનાં ઝાડનાં પાંદડાંઓમાંથી દીપક બનાવાયાં છે. તેને વાંસની પાતળી લાકડીઓ અને દોરાથી સીવવામાં આવ્યા છે. ઓડિશાથી પણ મોટી માત્રામાં પાંદડાંઓના દીવડા લવાયા છે. આ દીવડા ફ્રીમાં વહેંચવામાં આવ્યા હતા.
નર્મદા પ્રદૂષિત ન થાય તેવી પહેલ
એક સમાજસેવીએ એમ પણ જણાવ્યું કે અમારું સંગઠન લોટમાંથી દીવડા બનાવવામાં આવ્યા હતા, જેના કારણે નર્મદા પ્રદૂષિત નહીં થાય. દીવડા ઠંડા થયા બાદ તે લોટ માછલીઓ ખાઇ શકશે અને તેને ખોરાક મળશે. અમે લોકોને આગ્રહ કરી રહ્યા છીએ કે પ્લાસ્ટિકના દીવડા અને મીણબત્તીનો ઉપયોગ ન કરવો.
નર્મદા જયંતી સમિતિએ મા નર્મદાને પ્રદૂષણ મુક્ત રાખવા પાંદડાંના દીવડાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.