છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઇ રહ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજકીય રંગ બદલાયા છે. સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે તે ભાજપમાં જોડાશે. સિંધિયાના રાજીનામા બાદ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે. એક તરફ, જ્યારે કમલનાથ સરકાર જોખમમાં છે, ત્યારે ભાજપ સરકાર બનાવવા માટે આગળ વધી રહી છે. ત્યારે તમામ ધારાસભ્યોને ભોપાલથી દિલ્હી મોકલવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ યથાવત
ભાજપના ધારાસભ્યોને ભોપાલથી કરાયા શિફ્ટ
કોંગ્રેસે પણ સરકાર બચાવવા હાથ ધરી કવાયત
મધ્ય પ્રદેશમાં રાજકીય ગરમાવા વચ્ચે ભાજપના ધારાસભ્યોને ભોપાલથી ખસેડવાની કામગીરી હાથ ધરી છે. મંગળવારે રાત્રે 9.30 વાગ્યે બે બસ ભાજપના ધારાસભ્યો માટે રવાના થઈ હતી અને તમામ 106 ધારાસભ્ય ભોપાલ એરપોર્ટ પહોંચ્યા હતા. આ સાથે જ તેમને દિલ્હી લઇ જવામાં આવી શકે છે. જો કે ભાજપના ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ હોળીની ઉજવણી કરવા જઇ રહ્યા છે.
તેમજ સરકાર બચાવવા નવી રણનીતિ નક્કી કરવામાં આવશે. તો બીજી તરફ MP કોંગ્રેસની ધારાસભ્યદળની બેઠકમાં કમલનાથે ઈન્દિરા અને રાજીવ ગાંધીને યાદ કર્યા હતા અને કહ્યું કે,આ સમય ફરી સંકટનો છે. આપણી સાથે આપણા લોકોએ જ વિશ્વાસઘાત કર્યો છે.
22 ધારાસભ્યોએ પણ સ્પીકરને રાજીનામુ મોકલી દીધું
સિંધિયાના રાજીનામા બાદ તેમના સમર્થક જુથમાંથી 22 ધારાસભ્યોએ પણ સ્પીકરને રાજીનામુ મોકલી દીધું છે. કોંગ્રેસના આ બળવાખોર 22 ધારાસભ્યોમાંથી 6 રાજ્ય મંત્રી પણ છે. આ તમામ કર્ણાટક સ્થિત બેંગલુરુના રિસોર્ટમાં હતા. જેઓએ સિંધિયાના રાજીનામાના થોડા જ સમય બાદ રાજીનામુ આપ્યું છે.
બિસાહુ લાલ સિંહે તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવાની સાથે કોંગ્રેસ પણ છોડી દીધી છે અને તેઓ બીજેપીમાં સામેલ થઇ ગયા છે. ધારાસભ્યોના રાજીનામા બાદ બીજેપી નેતા વિધાનસભા સ્પીકરને મળ્યા.