આધ્યાત્મિક સંત ભૈય્યૂજી મહારાજે કથિત રીતે મંગળવારે બપોરના દોઢએક વાગ્યે ઈંદોર બાયપાસ પર સિલ્વર સ્પ્રિંગ ટાઉનશીપ સ્થિત પોતાના બંગલામાં પોતાની જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી. તેમના મૃત્યુના સમાચાર બાદ મોડી રાત સુધી શ્રદ્ધાંજલિનો સિલસિલો યથાવત રહ્યો હતો.
ભૈયુજી મહારાજના પાર્થિવદેહને દીકરી કુહૂએ અગ્નિદાહ આપ્યો હતો. આ પહેલા તેમની અંતિમયાત્રામાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને અંતિમયાત્રા મુક્તિધામ પહોંચી હતી જ્યાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે તેમના અંતિમ સંસ્કાર સંપન્ન થયા હતા. જે ગાડીમાં ભૈયુજી મહારાજના પાર્થિવદેહને લઈ જવામાં આવ્યો હતો તેને ફુલોથી સણગારવામાં આવ્યો હતો.
તેમના પાર્થિવ દેહને બોમ્બે હોસ્પિટલથી તેમના નિવાસ સ્થાન સ્કીમ નંબર 74 સ્થિત આવાસ 'શિવનેરી' માં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી ભૈયુજી મહારાજના પાર્થિવદેહને સુખલીયા સ્થિત આશ્રમ 'સૂર્યોદય'માં લઈ જવામાં આવ્યો હતો. પાર્થિવદેહના સૂર્યોદય આશ્રમમાં પહોંચવા પર ભારે સંખ્યામાં તેમના શિષ્ય અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. આ પહેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે શ્રદ્ધાંજલિ આપવા માટે ઈન્દોર પહોંચ્યા હતા.