ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોના વાયરસના નિયમો માટે વિવિધ સરકારો એક્શનમાં આવી ગઈ છે.
મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના વધતાં કેસ
માસ્ક વગર દેખાયા તો થશે સીધી જેલ
કોરોના વાયરસના કારણે પોલીસનો નિર્ણય
ભારતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ
કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે ફરીથી વિવિધ રાજ્યોમાં ફરીથી પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ભારતમાં દરરોજ નવા કેસની સંખ્યામા વધારો જોવા મળી રહ્યો છે. ઘણા બધા રાજ્યોમાં સતર્કતાના ભાગ રૂપે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે ત્યારે જનતા પણ કોરોના વાયરસથી બચવા માટે નિયમોનું પાલન કરે તે માટે રાજ્ય સરકારો હવે કડક થવા લાગી છે.
ઈન્દોરમાં લેવાયો મોટો નિર્ણય
ઈન્દોરમાં કોરોના વાયરસના નિયમોનું પાલન ન કરનારા લોકો માટે એક અસ્થાયી જેલ બનાવી દેવામાં આવી છે. જાહેર જગ્યાઑ પર માસ્ક વગર ફરતા લોકોની ધરપકડ કરીને જેલના હવાલે કરવામાં આવી રહ્યા છે. જેલ વિભાગના અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે તંત્રના આદેશ અનુસાર એક ગેસ હાઉસમાં જેલ ઊભી કરવામાં આવૈ છે. જેલના અધિકારીના જણાવ્યા અનુસાર જેલમાં CCTV કેમેરા તથા 15 કર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. જેલ અધિક્ષકે કહ્યું કે કેટલાક લોકોને ધારા 151 હેઠળ પકડવામાં આવ્યા છે.
ઈન્દોરમાં જ સૌથી વધુ કેસ
નોંધનીય છે કે મધ્ય પ્રદેશમાં સૌથી વધારે પ્રાભાવિત શહેર ઈન્દોર છે. ઈન્દોરમાં કુલ વસ્તી 35 લાખને આસપાસ છે ત્યારે 24મી માર્ચથી 31 માર્ચની વચ્ચે અહિયાં કુલ 70,309 કેસ સામે આવ્યા છે જ્યારે 962 લોકોના મોત થયા છે.
ગુજરાત કોરોના કેસ અપડેટ (1 એપ્રિલ, 2021)
રાજ્યમાં કાળ બનેલા કોરોનાના રોજબરોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. આજના દિવસે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,410 કેસ નોંધાયા છે. તેની સામે 2,015 દર્દીઓને છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ પણ કરાયા છે. તો રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. આ સાથે 155 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે રાજ્યમાં કુલ 12,996 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 4,528 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 2,92,584 લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે.
દિલ્હીમાં પણ હાલ બેહાલ
ભારતમાં કોરોના વાયરસની નવી લહેર ચાલી રહી છે. આ લહેરમા સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે પરંતુ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચિંતા વધવા લાગી છે. દિલ્હીમાં ગુરુવારે રેકોર્ડબ્રેક કોરોના વાયરસ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં 24 કલાકમાં 2,790 નવા કેસ સામે આવ્યા છે. બુધવારની તુલનામાં 53 ટકા વધારે કેસ સામે આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 72,330 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 12,221,665 થઇ ગઇ છે. આ દરમિયાન 459 લોકોના મોત થયા છે, જે છેલ્લા કેટલાક મહિનાઓમાં સૌથી વધુ છે. કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 1,62,927 પર પહોંચ્યો છે. ચિંતાની વાત એ છે કે આ વખતની લહેરમાં રિકવરી રેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 40 કલાકમાં 40 હજાર 382 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારબાદ અત્યાર સુધીમાં સાજા થનારાની સંખ્યા 11,474,683 પર પહોંચી ગઇ છે અને રિકવરી રેટ ઘટીને 93.89 ટકા થયો છે.