માધવસિંહ સોલંકી ગુજરાતના એક ટોચના રાજપુરુષ હોવા સાથે એક સાહિત્ય-સંસ્કારપ્રેમી વ્યક્તિ તરીકે જાણીતા છે. તેમનો વાચનશોખ અને દેશદુનિયાની ઉત્તમ સાહિત્યકૃતિઓ તેમજ અન્ય સાહિત્યસર્જન માણવાનો સ્વભાવ તેમનાં નિકટનાં વર્તુળોમાં ખૂબ જ જાણીતાે છે. આવા માધવસિંહભાઈએ ‘ગુજરાત સમાચાર’માં છપાયેલા એક લેખથી પ્રભાવિત થઈ તેના લેખક અંગે જાણવાનો પ્રયત્ન કર્યો અને તેમાંથી શરૂ થયો ભૂપતભાઈના જીવનનો એક નવો અનોખો અધ્યાય!
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન
ભૂપતભાઈ વડોદરિયા સાથે ધરાવતા હતા અનોખી આત્મિયતા
તેમના જીવનમાં નિર્ણાયક વળાંક લાવનારી આ ઘટના અંગે ભૂપતભાઈ કહે છે કે, ‘મારો એક લેખ ‘ગુજરાત સમાચાર’માં છપાયેલો પણ તેમાં મારું નામ નહીં. બપોરે હું પ્રેસ ઉપર ગયો ત્યારે શાંતિલાલ શાહે મને જણાવ્યું કે તમારો લેખ માધવસિંહભાઈને ખૂબ ગમ્યો છે અને તેઓ તમને મળવા માગે છે. બન્યું એવું હતું કે લેખ વાંચ્યા પછી માધવસિંહભાઈએ ‘ગુજરાત સમાચાર’માં ફોન કરી તે લેખના લેખક વિશે પૃચ્છા કરી હતી, જેના જવાબમાં મારું નામ તેમને અપાયેલું. તેમણે મને મળવાની ઇચ્છા વ્યક્ત કરેલી, જે માલિકોએ મને કહી.’
ભૂપતભાઈ માટે ઘણું માન ધરાવતા
આ ઘટના અંગે શ્રી માધવસિંહભાઈ કહે છે, ‘ગુજરાત સમાચાર’માં એક લેખ આવેલો. તે લેખમાં અમદાવાદમાં આવેલ શાહજહાંના મહેલનો ઉપયોગ બીજાં કામ માટે થયો ત્યારે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લેખની રજૂઆત પદ્ધતિ પણ ખૂબ પસંદ પડેલી. તેથી મેં ફોન કરી શાંતિલાલ શાહને પૂછયું કે તે લેખ કોણે લખ્યો હતો ત્યારે તેમણે ભૂપત વડોદરિયાનું નામ આપ્યું. તેમની સાથેની વાતમાં જોવા મળ્યું કે તેઓ ભૂપતભાઈ માટે ઘણું માન ધરાવતા હતા. તેથી સ્વાભાવિક રીતે તેમને મળવાની ઈચ્છા થઈ.
તે સમયે માધવસિંહભાઈ ગુજરાત કોંગ્રેસમાં ટોચના સ્થાને હતા. કટોકટીના પરિણામે કોંગ્રેસ સત્તામાંથી બહાર ફેંકાઈ ગયેલી અને મોરારજી દેસાઈની સરકારે સત્તા સંભાળેલી, પરંતુ ટૂંકા ગાળામાં જ જનતા સરકાર અંગેનો જનતાનો ભ્રમ ભાંગી ગયો હતો અને કોંગ્રેસ પક્ષ ફરી એક વાર જોશમાં આવી રહ્યો હતો.
ઇન્દિરા ગાંધીના નજીકનાં વર્તુળોમાં સ્થાન ધરાવતા હતા માધવસિંહ
માધવસિંહભાઈ આ ગાળામાં શ્રીમતી ઇન્દિરા ગાંધીના નજીકનાં વર્તુળોમાં પોતાનું સ્થાન દૃઢ કરી ચૂક્યા હતા. ગુજરાતમાં પણ દેશની જેમ જ જનતા પાર્ટીનાં વળતાં પાણી નજરે પડતાં હતાં. તેથી એવી ધારણા બંધાઈ હતી કે ’૮૦ની ચૂંટણી બાદ ગુજરાતમાં ફરી કોંગ્રેસ સત્તામાં આવશે, તેમાં વળી લોકસભાની મધ્યસત્ર ચૂંટણીમાં શ્રીમતી ગાંધી ભારે વિજય મેળવી ૧૯૮૦માં ફરી વડાં પ્રધાન બનતાં ગુજરાતમાં ફરી સત્તામાં પાછા આવવાના સંજોગો કોંગ્રેસ માટે ખૂબ જ ઉજજ્વળ દેખાયા. એ પણ સ્પષ્ટ હતું કે સત્તા મળે તો માધવસિંહભાઈ ફરી ગુજરાતના મુખ્યપ્રધાન બનશે.
આ વાતાવરણમાં માધવસિંહભાઈ સાથેની ભૂપતભાઈની મુલાકાત મહત્ત્વની બની ગઈ. આ મુલાકાતમાં માધવસિંહભાઈના ખાસ નિકટના એવા વિખ્યાત ગઝલકાર શેખાદમ આબુવાલા પણ નિમિત્ત બન્યા હતા અને તે રીતે માધવસિંહભાઇની સાથે-સાથે શેખાદમ સાથે પણ સંબંધોનો એક નવો દોર શરૂ થયો. ખૂબ જ નોંધપાત્ર બાબત એ હતી કે આ પહેલાં ભૂપતભાઈ માધવસિંહભાઈને ક્યારેય મળ્યા ન હતા.
આ પ્રથમ મુલાકાત બાદ બીજી પણ બેઠકો યોજાઈ અને એકબીજા વચ્ચેનો સંબંધ-સેતુ દૃઢ થતો ગયો. માધવસિંહભાઈ કહે છે, ભૂપતભાઈ સાથેની વાતચીતમાંથી લાગ્યું કે આ વ્યક્તિ માત્ર અભ્યાસુ કે સાહિત્યકાર જ નથી પણ ચિંતન કરનાર પણ છે. આવી વ્યક્તિ જો સરકારમાં હોય તો આડકતરી રીતે રાજ્યની જનતાને તેમની શક્તિઓનો લાભ મળે તેમ લાગ્યું. તેથી જ્યારે અમારી સરકાર બની ત્યારે તેમને બોલાવી માહિતી નિયામકની જવાબદારી લેવા વિનંતી કરી. તેમણે ખચકાતાં ખચકાતાં તેનો સ્વીકાર કર્યો.
ભૂપતભાઈ તે સમયને યાદ કરતાં કહે છે, પ્રથમ મુલાકાત બાદ અમારી મુલાકાતો વધતી ગઈ, સંબંધો ગાઢ થયા. પરિણામે માધવસિંહભાઈ મુખ્યપ્રધાન થયા પછી ૧૯૮૨માં તેમણે બોલાવી ‘ગુજરાત સરકાર’ના મુખપત્ર “ગુજરાત’ સાપ્તાહિકનું તંત્રીપદ તાકીદે સ્વીકારવા જણાવ્યું. મેં તાત્કાલિક જવાબ ન આપતાં તે અંગે વિચારણા કરી નિર્ણય લઈશ તેમ જણાવ્યું. માધવસિંહભાઈની આ ઓફરની વાત જ્યારે મેં ‘ગુજરાત સમાચાર’ના માલિકોને કરી ત્યારે તેમને આ ન ગમ્યું. આ માટેનું એક કારણ એ હતું કે ભૂપતભાઈ જેવા અનુભવી અને અનિવાર્ય સિનિયર પત્રકાર ચાલ્યા જાય તો તેની મોટી ખોટ વરતાય. તેમ છતાં શરૂઆતમાં થોડી આનાકાની બાદ માલિકોએ પોતાનું મન મનાવી લીધું અને ભૂપતભાઈ માહિતીખાતામાં જાય તે અંગે ખુશી વ્યક્ત કરી. ભૂપતભાઈ ૧ એપ્રિલ, ૧૯૮૨થી માહિતીખાતામાં ‘ગુજરાત’ સાપ્તાહિકના તંત્રી તરીકે જોડાયા. ભૂપતભાઈ જોડાયા તે પહેલાં શેખાદમ આબુવાલા માધવસિંહભાઈની ખૂબ જ નજીક. પરિણામે આ ત્રણેય વચ્ચેના સંબંધો વધુ ગાઢ થયા. હકીકતે ભૂપતભાઈને ઓફર થઈ ત્યારે તેમણે શેખાદમને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ સ્થાન માટે તમારો દાવો પ્રથમ છે અને તમે તે ગ્રહણ કરો તો વધુ સારું, પરંતુ તેમણે ચોખ્ખો નન્નો ભણ્યો, પછી જ ભૂપતભાઈએ આખરે હા પાડી.