આજથી માધવપુર ઘેડ ખાતે રામનવમીથી તેરસ સુધી પંચ દિવસીય ભવ્યાતિભવ્ય મેળો યોજાશે. જેમાં રાષ્ટ્રપતિ સહિત અનેક મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
આજથી માધવપુર ઘેડ ખાતે પંચ દિવસીય લોકમેળાનો ભવ્ય શુભારંભ
રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રીઓ સહિત અનેક નામાંકિત કલાકારો મેળાની શોભા વધારશે
ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડતો મેળો અને ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના વિવાહનું ઐતિહાસિક સ્થળ એટલે માધવપુર
આજથી રાજ્યમાં પોરબંદરના માધવપુરના મેળાનો પ્રારંભ થશે. રાષ્ટ્રીય કક્ષાએ યોજાતા માધવપુરના આ મેળાનો પ્રારંભ ખુદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થશે. જણાવી દઇએ કે, માધવપુરના આ 5 દિવસીય મેળામાં 8 રાજ્યોના મંત્રીઓ પણ સામેલ થશે તેમજ 8 રાજ્યોના કલાકારો મેળામાં વિવિધ કલાકૃતિઓ પ્રસ્તુત કરશે. મેળામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. માધવપુરના આ મેળામાં 1200થી વધુ સુરક્ષાકર્મીઓ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. અહીંયા એક સાથે 5 હેલિકોપ્ટર ઉતરી શકે તેવાં 5 હેલિપેડ પણ બનાવાયા છે. આ મેળામાં રાષ્ટ્રપતિ ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નોથૅ–ઇસ્ટ રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રીઓ, સહિત મહાનુભાવો, પદાઘિકારીઓ, અઘિકારીઓ તથા નામાંકિત કલાકારો પણ ઉપસ્થિત રહી મેળાની શોભા વધારશે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં અહીં લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો અહીં વિધિવત રીતે ઉજવાય છે. પ્રથમ દિવસે ગણેશજીની સ્થાપના કરી લગ્નપત્રિકઓ મોકલવામાં આવે છે. પછી શ્રીકૃષ્ણની ભવ્ય જાન પણ જોડાય છે. આ મેળામાં કચ્છથી ‘મેર’ જાતિના લોકો વિશેષ રીતે જોડાય છે, તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવતા હોય છે. શ્રીકૃષ્ણની જાન વખતે લોકો લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે.
માધવપુર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના વિવાહનું ઐતિહાસિક સ્થળ
તમને વિશેષમાં જણાવી દઇએ કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પોરબંદર નજીક આવેલા માધવપુર ઘેડ ખાતે વર્ષોથી ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પર્વ પ્રસંગે આ પરંપરાગત મેળો યોજાતો હોય છે. પોરબંદર જિલ્લામાં આવેલું આ માધવપુર ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું એક ઐતિહાસિક સ્થળ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના પવિત્ર લગ્ન બંધનના સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રિકો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. રૂકમણી સાથે શ્રીકૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો એક અનેરો પ્રસંગ છે.
ત્રણ દિવસ સુધી ભગવાનનું ફૂલેકુ નીજ મંદિરથી નીકળે છે કે જેને 'વર્ણાગી' કહેવાય છે
મહત્વનું છે કે, રામનવમીથી તેરસ સુધી એમ પાંચ દિવસ સુધી આ મેળો યોજાય છે. આ મેળો અરૂણાચલ પ્રદેશની ‘મીશમી જનજાતી’ના લોકોને ગુજરાત સાથે જોડે છે. ઉત્તર-પૂર્વીય આઠ રાજ્યોને જોડતો આ મેળો છે. રામ નવમીના પાવન પર્વ પર માધવપુર માધવરાયજીના મંદિરે મંડપ રોપાય છે અને અહીંયા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્ર નોમ, દશમ તથા અગિયારસના રોજ ત્રણ દિવસ સુધી ભગવાનનું ફૂલેકુ નીજ મંદિરથી નીકળે છે કે જેને 'વર્ણાગી' કહેવામાં આવે છે. આ ફૂલેકુ ત્રણ દિવસ સુધી રાત્રિના 9 કલાકે નીજ મંદિરેથી નીકળી મુખ્ય બજાર થઇને બ્રમ્હ કુંડ થઇને રાત્રિના 12 કલાકે નીજ મંદિરે પરત ફરે છે. બાદમાં ચૈત્ર સુદ બારસે વિવાહ ઉત્સવ યોજાય છે.