ગુજરાતની જીવાદોરી માં નર્મદાની આજે જયંતિ છે. ત્યારે ઠેર-ઠેર માં નર્મદાની પૌરાણીક પરંપરાઓ સાથે પૂજા કરાઈ. માં નર્મદાને સાડી ઓઢાડવામાં આવી. ત્યારે જાણો કેવો છે માં નર્મદાનો મહિમા...
માં નર્મદાની જન્મ જયંતિ
મહામારી સામે આસ્થાનો વિજય
1 લાખથી વધુ શ્રદ્ધાળુઓની નર્મદા પરિક્રમા
નમામિ દેવી નર્મદે એક નદી જે યુગો યુગોથી વહે છે. એક નદી જે વર્ષોથી એક જીવન શૈલીને જીવાડે છે. એક નદી જે ઘણા લોકોની આધાર માતા છે. ખળખળ વહેતી, રૌદ્ર સ્વરૂપ માટે જાણીતી, સેંકડો લોકોની તરસ છીપાવતી પાવન સલીલા માં નર્મદાની આજે જન્મ જયંતિ છે. જેની આજે ખુબ ઉત્સાહ સાથે ઉજવણી થઈ.
1 લાખથી વધુ શ્રદ્ધાળુઓની નર્મદા પરિક્રમા
કોરોનાના કાળમાં પણ માં નર્મદાની પરિક્રમામાં આ વર્ષે ઓટ ન આવી. જેથી મહામારી સામે આસ્થાનો વિજય થયો. માત્ર અઢી મહિનામાં જ અંદાજીત 1 લાખ કરતા પણ વધુ પરિક્રમા વાસીઓએ માં નર્મદાની પરિક્રમા કરી છે. ભરૂત ખાતે આજે નર્મદા જયંતિની પણ ઉજવણી કરવામાં આવી. આ સાથે જ પરંપરા પ્રમાણે, માં નર્મદાને 1008 સાડી પણ અર્પણ કરવામાં આવી. આજે ચાણોદ ખાતે નર્મદા તટે નર્મદાયાગ યજ્ઞ યોજાયો. જ્યારે મલ્હાર ઘાટ પર 100 મીટર લાંબી સાડી-ચુંદડી નાવડીઓ દ્વારા નર્મદા મૈયાને અર્પણ કરાઇ.
માં નર્મદા ઉત્પત્તિ પાછળ પણ રોચક કથા છે. પૌરાણો પ્રમાણે, સૃષ્ટિનાં નિર્માણમાં દેવતાઓને પાપ લાગી ગયું હતું, જે બાદ ભગવાન શિવ પ્રસન્ન થતા તેમના લલાટમાંથી એક બિંદુ નીકળ્યું હતું અને એક તેજવાન કન્યા પ્રગટ થઇ હતી. આ કન્યાનું તેજ એટલું હતું કે તેની સામે દેવતાઓનું તેજ પણ ઝાંખું પડી ગયું. દેવતાઓએ શિવજીને આ કન્યાનું નામ પૂછતાં તેમણે કહ્યું હતું કે મારી જટામાંથી ઉત્પન્ન થઇ હોવાથી તેનું નામ જટા શંકરી અને કલ્પોકલ્પાંત સુધી તેનો ક્ષય થશે નહિ આથી તેનું નામ નર્મદા તરીકે પ્રસિદ્ધ થશે. નર્મદા મૈયાને અમરત્વનું વરદાન મળ્યું હોવાથી તે સૃષ્ટિના વિનાશ બાદ પણ વહેતી રહશે. નર્મદા નદીનું ઉદગમ સ્થામ મધ્યપ્રદેશનું અમરકંટક છે ત્યાંથી તે ભરૂચ નજીક આવેલ ભાડભૂત સુધી વહે છે અને બાદમાં સમુદ્રમાં વિલીન થઇ જાય છે.
માં નર્મદા ગુજરાતની જીવદોરી તો છે જ પરંતુ તેની સાથે-સાથે આજે સરદાર સરોવર અને કેવડિયામાં લોખંડી પુરૂષની પ્રતિમાએ દેશ અને દુનિયાને માં નર્મદાના દર્શન કરવા માટે આકર્ષ્યા છે.