હિન્દુ ધર્મમાં લગ્ન પછી પતિ-પત્ની ઘણીવાર મંદિરમાં દર્શન કરવા જાય છે. પરંતુ ભારતમાં એક એવું મંદિર છે, જ્યાં પતિ-પત્ની એકસાથે નથી જઈ શકતા, જાણો શા માટે..
હિમાચલ પ્રદેશમાં આવેલું છે અનોખુ મંદિર
જ્યા પતિ-પત્ની સાથે નથી કરી શકતા પૂજા
જાણો શું છે તેના પાછળનું કારણ
હિંદુ ધર્મમાં એવી માન્યતાઓ છે કે લગ્ન પછી વિવાહિત યુગલે કોઈ પણ શુભ કાર્યક્રમ, પૂજા, હવન વગેરેમાં એકસાથે ભાગ લેવો પડે છે. તીર્થયાત્રા અને પૂજાનું શુભ ફળ પતિ-પત્નીને દંપતીના રૂપમાં જ પ્રાપ્ત થાય છે.
પરંતુ અમે તમને ભારતના એક અદ્ભુત મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં પતિ-પત્ની એક સાથે દર્શન કરી શકતા નથી. અહીં કોઈ યુગલને એકસાથે પૂજા કરવાની મંજૂરી નથી. આવો જાણીએ આ મંદિરની કહાની અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.
અદ્ભુત અને અનોખું મંદિર
પરણિત યુગલોના એક સાથે દર્શન પર આ પ્રતિબંધ ધરાવતું આ મંદિર દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં આવેલું છે. શિમલામાં આવેલ આ મંદિર માતા દુર્ગાનું મંદિર છે. આ અનોખા અને ખાસ મંદિર મા દુર્ગા શ્રી કોટી માતાના નામથી ઓળખાય છે. માતા ભીમા કાલી ટ્રસ્ટ આ મંદિરની દેખરેખ અને વ્યવસ્થા કરે છે. શિમલામાં આવેલા આ મંદિરની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 11000 ફૂટ ઉપર છે.
એક સાથે દર્શન કરવા પર મળે છે સજા
હિન્દુ માન્યતાઓ અનુસાર મા દુર્ગાના આ મંદિરમાં પતિ-પત્ની અથવા પરિણીત યુગલો માટે એકસાથે પૂજા કરવાની મનાઈ છે. જો કોઈ પરિણીત યુગલ કોઈક રીતે આ મંદિરમાં જાય છે અને માતાની મૂર્તિના દર્શન કરે છે. તો તેમને આ ગુનાની સજા પણ ભોગવવી પડી શકે છે. જો કે જો પતિ-પત્ની આ મંદિરમાં દર્શન કરવા માંગતા હોય તો તેમણે મંદિરમાં અલગ-અલગ જઈને માતાના દર્શન કરવા પડે છે.
શું છે તેના પાછળનું પૌરાણિક કથા
આ અનોખા અને વિશેષ મંદિર વિશે ઘણી જૂની કથા પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે એકવાર ભગવાન શિવના બે પુત્રો ગણેશ જી અને કાર્તિકેય જી બ્રહ્માંડની પરિક્રમા કરવા નીકળ્યા હતા. ગણેશજીએ તેમના માતા-પિતાની પ્રદક્ષિણા કરી અને પૂછવા પર કહ્યું કે બ્રહ્માંડ માતા-પિતાના ચરણોમાં છે. ત્યારે કાર્તિકેયજીએ સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરી અને તેઓ તેમની પરિક્રમા કરીને પાછા ફર્યા ત્યાં સુધીમાં ગણેશજીના લગ્ન થઈ ચૂક્યા હતા.
શ્રાપને કારણે વિવાહિત યુગલો દર્શન નથી કરતા
ગણેશજીના લગ્નથી કાર્તિકેય ગુસ્સે થયા અને તેમણે ક્યારેય લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. માતા પાર્વતી પુત્ર કાર્તિકેયના લગ્ન ન કરવાના વ્રત પર ખૂબ ગુસ્સે થયા. જે જગ્યાએ કાર્તિકેયજી રોકાયા હતા ત્યાં માતા પાર્વતીએ કહ્યું કે જે પણ પતિ-પત્ની કાર્તિકેયજીના દર્શન કરશે. તેઓ એકબીજાથી અલગ થઈ જશે. આ કારણે કપલ અહીં એકસાથે પૂજા કરતાં ડરે છે.