મહારાષ્ટ્રમાં બસ દુર્ઘટનામાં બચી જનારા ગુજરાતી યુવકને થોડી જ વારમાં ફરી મૃત્યુ આંબી ગયું.
મહારાષ્ટ્રના બુલઢાણાની ઘટના
બસમાં બચી ગયો તો ટ્રકે જીવ લીધો
બચવાની ખબર આપવા જતાં જીવ ખોયો
કહેવાય છે કે અણી ચૂક્યો 100 વર્ષ જીવે પરંતુ ગુજરાતના રહેવાસી અંકિત રાવલ નામના યુવકના કિસ્સામાં આ વાત ખોટી સાબિત થઈ. ગુજરાતની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો અંકિત નાગપુરથી ઔરંગાબાદ જતી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. આ લક્ઝરી બસમાં અન્ય 20 જેટલા મુસાફરો પણ સવાર હતા. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના દેવુલગાંવ રાજા પાસે સમૃદ્ધિ મહામાર્ગ પર શુક્રવારે વહેલી સવારે લક્ઝરી બસે બે ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સામેથી વાહન આવી જતા બસ ડ્રાઈવરે જોરદાર બ્રેક મારી હતી. જેથી લકઝરી બસ પલટી ગઈ હતી.
ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે ટ્રકે લીધો અડફેટે
બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. અંકિત રાવલે બહાર નીકળી અન્ય મુસાફરોને પણ બસમાંથી સફળ રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ અંકિતે બસ દુર્ઘટના વિશે જણાવવા પરિવારના સભ્યોને ફોન કર્યો હતો. અંકિત ફોન પર પરિવારને જાણ કરી જ રહ્યો હતો કે કેવી રીતે બસ દુર્ઘટના બની અને કેવી રીતે બચ્યો, તે દરમિયાન ફોન પર વાત કરતા રોડની મધ્યમાં આવી ચૂક્યો હતો. આ જ દરમિયાન એક ટ્રક બીજી તરફથી ઝડપથી આવી અને અંકિત અને અન્ય વ્યક્તિને અડફેટે લઈ લીધા હતા. જેમાં અંકિતનું મૃત્યું થયું જ્યારે અન્ય ગંભીર રીતે ઘયાલ થયો.
પોલીસે બસ ડ્રાઈવર અને ટ્રક ડ્રાઈવર સામે નોંધ્યો ગુનો
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, ટ્રક નાસિકથી ડુંગળીનો જથ્થો લઈ નાગપુર જઈ રહી હતી. ટ્રક ડ્રાઈવરે ક્ષતિગ્રસ્ત બસ અને લોકો જોયા પરંતુ અંકિતને ડ્રાઈવર જોઈ શક્યો નહોતો. આ ઘટનામાં ડ્રાઈવર અને કંડક્ટરને ઈજા પહોંચતા દેવુંલરાજા અને જાલનાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. દેવુલગાંવ પોલીસે બસ ડ્રાઈવર અને ટ્રક ડ્રાઈવર સામે ગુનો નોંઘ્યો છે.
આ માર્ગ પર છેલ્લા 15 દિવસમાં 4 લોકોના મૃત્યુ
નાગપુરથી શિરડી સુધી 520 કિલોમીટર સમૃદ્ધિ મહામાર્ગને થોડો સમય પહેલા જ ખુલ્લો મૂકાયો છે. આ રોડ પર પ્રતિ કલાક 120 કિલોમીટરની ઝડપે વાહન હંકારી શકાય છે. પરંતુ ઓવરસ્પીડને કારણે છેલ્લા 15 દિવસમાં 4 લોકોના મૃત્યુ આ માર્ગ પર થયા છે.
PM મોદીના હસ્તે કરાયું હતું ઉદ્ધાટન
નાગપુરથી શિરડી સુધીના 520 કિલોમીટરના તબક્કાનું ઉદ્ઘાટન 11 ડિસેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જે બાદ આ હાઈવે ચાલુ કરવામાં આવ્યો છે. આ માર્ગ પર ઝડપ મર્યાદા 120 kmph છે. જેના કારણે એક ભૂલ પણ મોટી થઈ શકે છે. રસ્તો સારો છે, પણ વધુ પડતી ઝડપ જીવલેણ લાગે છે. તો ઘણી વખત રાત્રિની મુસાફરી પણ જોખમી બની જાય છે.