સોનુ લેવા પંજાબનો વેપારી થરાદ પહોંચતા તેને ત્યાં લૂંટી લેવાયો
ભુજના ઉસ્માન,રસુલ અને જીતુ સહિત 6 શખ્સો સામે ફરિયાદ
જિલ્લા LCB સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં લાગી
આપણે ગુજરાતીમાં એક કહેવત છે " લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મરે " આવું જ કઇંક બન્યું છે બનાસકાંઠા જિલ્લાના થરાદમાં. સસ્તું સોનું લેવાની લાલચમાં પંજાબના વેપારી સાથે ડીસામાં 80 લાખની લૂંટ થઈ છે. વાત જાણે એમ છે કે, થરાદના ઇસમોએ પંજાબના વેપારીને એક વાર માર્કેટભાવથી ઓછી કિંમતે સોનું આપ્યું હતું. જે બાદમાં વધુ સોનું ખરીદે તો વધુ ફાયદો થાય તેવી લાલચ આપી હતી. આ તરફ સસ્તા સોનાની લાલચે પંજાબના વેપારી સાથે 80 લાખની લૂંટ થઈ છે. સમગ્ર મામલે હાલ 6 લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ થઈ છે.
શું હતી સમગ્ર ઘટના ?
પંજાબના ભટીંડામાં રહેતા વેપારી વિશાલ મહેન્દ્રસિંગ સોની (જૌરા) પોતાના સાળા સાથે ગુજરાત આવ્યો હતો. જ્યાં કચ્છ જતાં ઇમોર્ટ એજન્ટની જરૂર પડતાં એક ઈસમ સાથે પરિચય થતાં તેમણે પોતાના પરિચિતો પાસે સોનું હોવાની લાલચ આપીને બજાર ભાવથી 10 ટકા ઓછા ભાવથી અપાવવાની વાત કરી હતી. જ્યાં વેપારીને લોભામણી લાલચમાં ફસાવવા માટે ઉસ્માન, અલી અને રસુલ નામના શખસોએ બે-ત્રણ સોનાનાં બિસ્કિટ બતાવી 100-100 ગ્રામનાં બે બિસ્કીટ પંજાબના વેપારીને રૂ.9,40,000માં આપ્યાં હતાં.
વધુ સોનું લેશો તો વધુ ફાયદો થશે તેમ કહી 80 લાખ લૂંટી લીધા
પંજાબના વેપારીને વિશ્વાસમાં લઈને વધુ સોનું ખરીદો તો વધારે નફો મળશે તેમ કહીને 80 લાખમાં બે કિલો સોનું આપવાની લાલચ આપી હતી. આથી પંજાબના વેપારીએ 30 લાખ ઉછીના લઈને પોતાના સાળા સાથે થરાદ બોલાવાયા હતા. જે બાદમાં 04 જુલાઇ-2022ના રોજ પંજાબના વેપારીને બનાસકાંઠાના થરાદમાં બોલાવવામાં આવ્યો હતો, જ્યાં ઉસ્માન, રસુલ, જીતું અને અન્ય સાગરિતોએ પૈસા લાવ્યો છો તેમ કહીને બધું પેમેન્ટ આપીને સોનું લેવાની વાત કરી હતી. જ્યાં 50લાખ પાલનપુર આંગડીયામાં હવાલાથી મંગાવ્યા હતા. જે લેવા જીતું 80 લાખ ભરેલ થેલો લઇને તેમની ગાડીમાંથી લઇને ઉતરીને સ્કોર્પીયોમાં બેસવા લાગ્યો હતો. જેથી વેપારીએ સોનાની વાત કરતાં રિવોલ્વર કાઢી પંજાબના વેપારી વિશાલના કપાળે મૂકીને શુટ કરવાની ધમકી આપી ધક્કો મારી ગાડી ભગાવી દીધી હતી.
80 લાખની લૂંટ કેસમાં 6 લોકો સામે ફરિયાદ
પોતાની સાથે 80 લાખની લૂંટ થયા બાદ વિશાલ પંજાબ જતો રહ્યો હતો પરંતુ તેમની સાથે સંપર્કમાં રહેલા જીતુ, ઉસ્માન અને રસુલે સોનાની વ્યવસ્થા કરાવી આપવાની વાતો કરતા હતા. જે બાદમાં આખરે વિશાલે થરાદ પોલીસ સ્ટેશનમાં પૂર્વ આયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પંજાબના વેપારીએ રસુલ, ઉસ્માન, જીતુ સહિત 6 શખ્સો સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
થરાદ 80 લાખની લૂંટ કેસમાં પોલીસે ભુજના રસુલ નામના શખ્સની અટકાયત પણ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને શોધવા માટે પોલીસની વિવિધ ટીમ કામે લાગી છે. આ ઘટનામાં જિલ્લા LCB, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમ આરોપીઓની શોધખોળમાં લાગી છે.