રાજ્ય (Gujarat) માં સૌરાષ્ટ્રભરમાં પશુઓમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. ત્યારે હવે બોટાદ જિલ્લામાં પણ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે.
બોટાદ જિલ્લાના 497 પશુઓમાં દેખાયા લમ્પી વાયરસના લક્ષણો
66 ગામોમાં લમ્પીના કેસ નોંધાયા અને રાણપુરમાં પશુનું મૃત્યુ
જિલ્લામાં પશુપાલન વિભાગની 10 ટીમો કાર્યરત કરાઇ
બોટાદ જિલ્લાના 497 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા. જિલ્લાના 66 ગામડાઓમાં લમ્પીના કેસ નોંધાયા અને રાણપુરમાં એક પશુનું મૃત્યુ પણ થયું છે. જો કે, આ લમ્પીની દહેશત વચ્ચે 21 હજાર 865 પશુનું રસીકરણ પણ કરાયું છે. હાલ જિલ્લામાં પશુપાલન વિભાગની 10 ટીમો કાર્યરત થઇ ગઇ છે.
રાજકોટમાં તો પશુઓની હેરફેર અને પશુમેળા પર પ્રતિબંધ લગાવાયો છે
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. રાજકોટમાં લમ્પીના કારણે અનેક પશુના મૃત્યુ થયા છે, ત્યારે રાજકોટને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ, તથા પશુઓના વેપાર, પશુમેળા અને પશુ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે ચેપી રોગવાળા પશુઓને જાહેરમાં ખુલ્લા મુકવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના આ જાહેરનામાનો 21 ઓગસ્ટ સુધી અમલ કરવાનો રહેશે.
લમ્પી વાયરસે ઉતર ગુજરાતને પણ ભરડામાં લીધું છે
બીજી બાજુ લમ્પી વાયરસે ઉતર ગુજરાતને પણ ભરડામાં લીધું છે. ઉત્તર ગુજરાતના પશુપાલકો પણ લમ્પી વાયરસને લઈને ચિંતામાં છે. જો લમ્પી વાયરસ ઉત્તર ગુજરાતમાં પ્રસર્યો તો હજારો પરિવારોની રોજી રોટી જોખમમાં મુકાશે. એમાંય ખાસ કરીને બનાસકાંઠાને લંમ્પી વાયરસે ભરડામાં લીધું છે અને જેને લઈને સૌથી મોટા પશુપાલન જિલ્લામાં પશુપાલકો ચિંતામાં છે.
તમને જણાવી દઇએ કે, બનાસકાંઠા જિલ્લામાં 4 લાખ જેટલાં લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. જિલ્લામાં પશુપાલકો પાસે 28 લાખ જેટલા પશુઓ છે જેમાં 13 લાખ જેટલી ગાય અને 15 લાખ જેટલી ભેંસો છે. જો કે જિલ્લામાં વાયરસનું પ્રમાણ ગાયોમાં ફેલાયું છે. બનાસકાંઠામાં અત્યાર સુધી 1200 પશુઓને રોગની અસર થઈ છે અને 65 જેટલા પશુ મોતને ભેટ્યા છે. જિલ્લામાં વાવ, ભાભર, સુઈગામ, કાંકરેજ, થરાદ, લાખણી, ડીસા, ધાનેરા અને દિયોદર સહિતના 9 તાલુકાઓમાં 200 જેટલા ગામોમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે જેની ચિંતા કરી અને પશુપાલન વિભાગ તેમજ બનાસ ડેરીની ડૉક્ટરોની ટીમો કામે લાગી છે. રોગચાળાને નાથવા રાત-દિવસ 11 ઈમરજન્સી વાહનો કાર્યરત છે.
જાણો લમ્પી વાયરસ શું છે?
લમ્પી વાયરસમાં પશુઓમાં જોવા મળે છે.
લમ્પી સ્કીન ડિસીઝ વાયરસ જન્ય રોગ છે.
મચ્છર,માખી ઇતરડી કે રોગિષ્ઠ પશુ સાથેના સીધા સંપર્કથી ફેલાવો થાય છે.
દુષિત ખોરાક કે પાણીથી પણ ફેલાય છે લમ્પી વાયરસ.
વાયરસ દાખલ થયાના એક અઠવાડિયાની અંદર રોગના ચિન્હો જોવા મળે છે.
પશુને તાવ આવે, પશુ ખાવાનું ઓછું કરે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે.
ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે.
પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર અસર થાય છે.
રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે.
પશુઓનો મૃત્યુ દર ખૂબ જ ઓછો 1થી 2 ટકા છે.
આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.
લમ્પી વાયરસથી પશુઓને બચાવવા શું કરવું જોઇએ?
બીમાર પશુઓને સ્વસ્થ પશુઓથી તાત્કાલિક અલગ કરવા જોઇએ.
પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જોઇએ.
પશુઓના રહેઠાણને માખી,મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ અટકાવવો જોઇએ.
લમ્પી રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.
પશુપાલકે ટોલ ફ્રી નંબર 1962 પર સંપર્ક કરવો જોઇએ.
રોગગ્રસ્ત વિસ્તારથી પશુઓનું સ્થળાંતર બંધ કરવું.
પશુઓના ખોરાક,પાણી અને માવજત અલગથી કરવી.
પશુઓ રોગપ્રતિકારક શક્તિને લીધે 2થી 3 અઠવાડિયા સુધીમાં સ્વસ્થ થાય છે.