હાથરસ કાંડની તપાસ માટે યૂપી સરકાર દ્વારા રચવામાં આવેલી એસઆઈટીની તપાસ પુરી થઈ ગઈ છે. એસઆઈટીની ટીમ આજે (16 ઓક્ટોબરે) સરકારને રિપોર્ટ સોંપી શકે છે. પહેલાથી નક્કી કરવામાં આવેલા સમય મુજબ 15 ઓક્ટોબરે સરકારને રિપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી રહી હતી.
એસઆઈટીની ટીમ આજે સરકારને રિપોર્ટ સોંપી શકે
પહેલા 15 ઓક્ટોબરે સરકારને રિપોર્ટ સોંપવાની વાત કરાઈ હતી
રિપોર્ટ ફાઈનલ કરવા માટે 10 દિવસનો વધુ સમય આપવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે સીએમ યોગીએ આ ઘટના બાદ આની તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી. જેને અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ ગૃહસચિવ ભગવાન સ્વરુપની અધ્યક્ષતાવાળી આ 3 સભ્યોની એસઆઈટીની રિપોર્ટ ફાઈનલ કરવા માટે 10 દિવસનો વધુ સમય આપવામાં આવ્યો હતો. આ સમય 17 ઓક્ટોબરે પુરો થઈ રહ્યો છે. હકીકતમાં તપાસની મર્યાદા વધારવા માટે ગૃહ વિભાગે આ નિર્ણય લીધો હતો.
નોંધનીય છે કે એસઆઈટી દ્વારા પ્રારંભિક રિપોર્ટ સોંપ્યા બાદ સીએમ યોગીએ હાથરસના એસપી, સીઓ સહિત 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. આ કેસના ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિત પરિવાર અને વિપક્ષી દળો વિરોધ પ્રદર્શન કરતા સીએમએ એસઆઈટીની રચના કરી હતી. જો કે મુખ્યમંત્રીએ આ મામલામાં સીબીઆઈને તપાસના આદેશ આપ્યા છે.
સીબીઆઈએ હાથરસ કાંડની તપાસ પોતાના હસ્તક કરી લીધી છે. 4 દિવસથી સીબીઆઈની ટીમ હાથરસમાં અડ્ડો જમાવીને બેઠી છે. આ દરમિયાન સીબીઆઈ ટીમને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતુ. સાથે પરિવાર અને આરોપીના પરિવાર સાથે વાતચીત કરી હતી. અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલું છે.