ઉત્તર પ્રદેશની યોગી સરકારે અકસ્માતો અથવા અપરાધિક મામલાઓમાં મૃતદેહો સાથે રસ્તા અથવા જાહેર સ્થળે વિરોધ કરનારાઓ સામે કડક નિયમો બનાવ્યા છે. આ પ્રકારનું કૃત્ય કરનાર સામે રાજ્યમાં સજાપાત્ર ગુનો નોંધાશે.
ઉત્તર પ્રદેશ સરકારના મોટા એક્શન
મૃતદેહને રસ્તા વચ્ચે મુકી વિરોધ કરવો ગણાશે ગુનો
કૃત્ય કરનાર સામે આપ્યા કડક કાર્યવાહીના આદેશ
ગૃહ વિભાગે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર આપવામાં આવેલા આદેશના પાલનમાં એક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરી છે. આ અંતર્ગત જો પરિવારના સભ્યો જાતે અથવા ભીડ ભેગી કરીને લાશને રોડ અથવા જાહેર સ્થળે મૂકીને પ્રદર્શન કરશે તો તેને મૃતદેહનું અપમાન ગણીને તેમની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન
જાહેર કરવામાં આવેલી એસઓપી મુજબ, પોસ્ટમોર્ટમ પછી પરિવારને મૃતદેહ સોંપતી વખતે, લેખિત સંમતિ લેવામાં આવશે કે તેઓ મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસથી સીધા તેમના ઘરે લઈ જશે અને ધાર્મિક રિવાજો મુજબ અંતિમ સંસ્કાર સ્થળ પર લઈ જશે. આ દરમિયાન, તેઓ કોઈપણ પક્ષ અથવા સંગઠનની મદદથી રસ્તાની વચ્ચે ક્યાંય પણ લાશને નહીં રાખે, ભીડ એકઠી કરશે, જામ કરશે નહીં અથવા વિરોધ કરી શકશે નહીં. આવું કરનાર સામે કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
મૃતદેહને અગ્નિદાહ આપવાની પણ કરાશે વ્યવસ્થા
હાથરસની ઘટના બાદ એસઓપીમાં રાત્રે મૃતદેહને બાળવાના નિયમો બનાવવામાં આવ્યા છે. જો રાત્રે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો હોય તો પહેલા પરિવારની પરવાનગી લેવી પડશે. એટલું જ નહીં સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. આ સાથે જિલ્લા વહીવટીતંત્ર અને પરિવારના સભ્યો વચ્ચેના સંદેશાવ્યવહાર અને સંદેશાઓનો ડેટા પણ એક વર્ષ સુધી સુરક્ષિત રાખવાનો રહેશે.
અજાણ્યા મૃતદેહો માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે
એસઓપીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો પરિવારના સભ્યો કોઈ પણ સંજોગોમાં મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરે તો તે સ્થિતિમાં સૌપ્રથમ તો વહીવટી અધિકારીઓ પરિવારને સમજાવવાનો પ્રયાસ કરશે. તેમ છતાં જો પરિવારજનો સંમત નહીં થાય તો સ્થાનિક લોકોનું જૂથ બનાવીને મૃતદેહના પંચનામા કર્યા બાદ ડીએમની સૂચના મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.