ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના આદેશ બાદ 17 હજાર સ્થળોએ લાઉડસ્પીકરનો અવાજ ધીમો કરી દેવાયો છે.
CMના આદેશ બાદ યુપીમાં એક્શન
ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર ઉતારવાના શરૂ
17 હજાર સ્થળોએ લાઉડસ્પીકરનો અવાજ ધીમો કરાયો
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની કડકાઈ બાદ ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા 17 હજાર લાઉડસ્પીકરનો અવાજ ધીમો કરી દેવાયો છે. આ સાથે 125 જગ્યાએથી તો ધ્વનિયંત્રોને પણ હટાવી દેવાયા છે. રાજ્યના ADG લૉ એન્ડ ઓર્ડરે આ અંગેની જાણકારી આપી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં લાઉડસ્પીકર અંગે હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે.
ADG લૉ એન્ડ ઓર્ડરે પ્રશાંત કુમારના જણાવ્યાં અનુસાર, રાજ્યમાં 125 સ્થળોએ લાઉડસ્પીકર નીચે ઉતારી લેવાયા છે. 17 હજાર સ્થળોએ લોકોએ જાતે જ પોતાનો અવાજ ધીમો કરી દીધો છે. રાજ્યમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવાઇ છે. આ સાથે રાજ્યમાં શાંતિ સમિતિની પણ બેઠકો થઈ રહી છે.
37 હજાર ધર્મગુરુઓ સાથે થઇ વાતચીત
તેઓએ જણાવ્યું કે, રાજ્યભરમાં લગભગ 37 હજાર 344 ધર્મગુરુઓ સાથે વાતચીત કરવામાં આવી છે. 31 હજાર સ્થળોએ અલવિદાની નમાજ અદા કરવામાં આવશે. એ સિવાય 7500 ઇદગાહ અને 20 હજાર મસ્જિદોમાં નમાજ પઢવામાં આવશે. તેની સુરક્ષા માટે 48 કંપની પીએસી, 7 કંપની સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ જિલ્લાઓમાં વધારાની પોલીસ ફોર્સ પણ આપવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં જિલ્લાની ફોર્સ અલવિદાની નમાજ સમયે સંપૂર્ણ રીતે તૈનાત રહેશે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ પરથી લાઉડસ્પીકર હટાવાયા
દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ બેસાડતા તાજેતરમાં જ શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરથી પણ લાઉડસ્પીકર હટાવી દેવાયા હતાં. આ મંદિર પરિસરમાં આવેલા ભાગવત ભવનની ટોચ પર લાઉડસ્પીકર છે. જેમાં દરરોજ લગભગ દોઢેક કલાક સુધી આહ્વાન અને વિષ્ણુ સહસ્ત્રનામ વગાડવામાં આવતા. દિવસની શરૂઆત પણ તેનાથી જ થતી. ત્યારે હવે તેને અટકાવી દેવામાં આવ્યું છે.
ગોરખનાથ મંદિરમાં પણ અવાજ ધીમો
માત્ર એટલું જ નહીં પરંતુ ગોરખનાથ મંદિર પરિસરના લાઉડસ્પીકરનો અવાજ પણ ઓછો કરવામાં આવ્યો છે. તદુપરાંત કાનપુર, લખનઉ, નોઈડા અને અન્ય શહેરોમાં પણ ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરોને કાં તો હટાવી દેવામાં આવ્યા છે અથવા તો તેનો અવાજ એટલો ઓછો કરી દેવાયો છે કે તે અવાજ પરિસરમાં જ રહે છે.
પરવાનગી વિના સરઘસ નહીં નીકળે
આ પહેલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ બાદ કરવામાં આવી હતી, જેમાં તેઓએ કહ્યું હતું કે, તમામ ધાર્મિક કાર્યક્રમો અને ધાર્મિક સ્થળોમાં શાંતિ જાળવવા માટે પરવાનગી વિના કોઈ પણ જાતનું સરઘસ (ઝુલુસ) નહીં કાઢવામાં આવે. ઉપરાંત, આ પ્રકારના આયોજનો અને સ્થળોમાં લાઉડસ્પીકરના ઉપયોગથી અન્ય લોકોને અસુવિધા પણ ન થવી જોઈએ.