લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ કુલ 7 સેન્ટર પર લેવાશે પરીક્ષા , ચોરીની સંભાવના ટાળવા મોટા શહેરોમાં ફાળવ્યા સેન્ટર
LRD ભરતીની પરીક્ષા 10 એપ્રિલે લેવાશે
ઉમેદવારોને કોલ લેટર ઇશ્યુ કરવામાં આવ્યા
7 સેન્ટર પર લેવામાં આવશે પરીક્ષા
લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાનાર છે. જે માટેના કોલ લેટર ઇશ્યુ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 7 સેન્ટર પર પરીક્ષા લેવામાં આવશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર, ગાંધીનગર અને આણંદ ખાતે પણ કેન્દ્ર ફાળવાયા છે. પરીક્ષામાં ગેરરિતી ટાળવા માટે બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતીને ધ્યાને રાખીને
કોલ લેટર મોડા ઇશ્યુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
'ગેરરીતિ રોકવા મોટા શહેરોમાં જ આયોજન'
આ અંગે LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે વન રક્ષકની ભરતીમાં ગેરરીતિને ધ્યાને રાખી વધુ તકેદારી રાખવામાં આવી છે.નાના સેન્ટરો પર પરીક્ષાનું આયોજન અઘરૂ થાય છે. ગેરરીતિ ટાળવા માટે જે થઇ શકે તે બોર્ડની પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત ઉમેદવારોને પરીક્ષા આપવા દૂર ન જવું પડે તે વિચાર કર્યો હતો. ગેરરીતિ ટાળવા માટે જ મોટા શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે.
ભરતી બોર્ડ, ગુજરાત અને ખાસ કરીને ઉમેદવારોની પ્રાથમિકતા ભરતીમાં ગેરરીતિ ન થાય તે છે. પરીક્ષા કેન્દ્રોની પસંદગી ને ફાળવણી તેને ધ્યાનમાં રાખી કરી છે. પસંદગી યાદી જાહેર થાય ત્યાં સુધી સતત ભરતી બોર્ડ આ માટે પોતાના પ્રયત્નો ચાલુ રાખશે. મને વિશ્વાસ છે કે આપણે સહુ સાથે મળી તેમાં સફળ થઈશુ
કોલલેટર એ રીતે ઇશ્યુ કરવામાં આવ્યા છે જેથી કોઇ પણ ઉમેદવારોના પરિચિતોનો નંબર સાથે ન આવે. એટલે કે એક જિલ્લાના પરિચિતોનો પાસે નંબર ન આવે તે પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી ચોરી થવાની સંભાવના ટાળી શકાય.
પરીક્ષાનો સમય ૨ કલાક હોય એક જ કેન્દ્રમાં એક જિલ્લાના પરિચિત ઉમેદવારોના નંબર પાસપાસે હોય તો ચોરી કરે તે સંભાવના ટાળવા માટે પણ બોર્ડે પ્રયત્ન કર્યો છે.
મહત્વનું છે કે વનરક્ષક ભરતીની લેખિત પરીક્ષા માટે પહેલા એક એપ્રિલે કોલલેટર ઇશ્યુ કરવાના હતા ત્યારબાદ 3 એપ્રિલ તારીખ નક્કી કરવામાં આવી અને ત્યારબાદ 4 એપ્રિલે કોલલેટર આપવાનું નક્કી કરવામાં આવ્યું. સરકારી પરીક્ષાઓમાં થતી ગેરરીતીને ધ્યાને રાખીને કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ કે ગેરરીતી અને ચોરી ન થાય તેવી પ્રકારે લોકરક્ષક દળની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેટલા ઉમેદવારો થયા છે પાસ?
શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ યોજાશે. તમને જણાવી દઈકે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવી શારીરિક દોડ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં બિન-હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 તેમજ હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.
હસમુખ પટેલે શું કરી છે અપીલ?
લોકરક્ષક ભરતીમાં જગ્યાના આઠ ગણા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાના જુના નિયમ મુજબ 85000 ઉમેદવારોની પરીક્ષા લેવાની થાત. નવા નિયમ મુજબ લગભગ 3 લાખ સુધી ઉમેદવારો પરીક્ષા આપશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે સેટિંગ માટે પૈસા આપી બેઠા હો તો ભ્રમમાં રહેતા નહીં, કોઈ તમને પાસ કરાવી નહીં શકે. તમે પાસ થશો તો પણ તમારી તાકાતથી અને મફતમાં કોઈ પૈસા લઈ જશે. માટે આગળ આવો અને ફરિયાદ કરો.
હેલ્પલાઇન નંબર
પીએસઆઇમાં પાસ થયેલ હોય પરંતુ લોકરક્ષકના પરિણામમા તેમનું નામ ન હોય તેવા ઉમેદવારોને કોલ લેટર મર્જ કરવાનો રહી ગયો હોય તથા અન્ય કોઇ મુંઝવણ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
પીએસઆઇમાં પાસ થયેલ હોય પરંતુ લોકરક્ષકના પરિણામમા તેમનું નામ ન હોય તેવા ઉમેદવારોને કોલ લેટર મર્જ કરવા માટે તારીખ આપવામાં આવેલ જે વીતી ગઈ છે છતાં પણ કોઇ ઉમેદવાર બાકી રહી ગયેલ હોય તો ભરતી બોર્ડનો સંપર્ક કરવો
હેલ્પલાઇન નંબર
9104654216
8401154217
7041454218
લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના 25 અને લેખિત કસોટીના 100 ગુણ છે. શારીરિક કસોટીમાં ગમે તેટલા ઓછા ગુણ હોય તોપણ લેખિત કસોટીમાં વધુ ગુણ લાવી ઉમેદવાર સફળ થઈ શકે છે.