ગાંધીનગરમાં LRD વિવાદ મુદ્દે આંદોલન કરી રહેલા કુલ ત્રણ ઉમેદવારોની તબિયત લથડી છે. ત્રણ ઉમેદવાર પૈકી પૂજા સાગઠિયા અને હસમુખ સક્સેના નામના ઉમેદવારને વધુ સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે ભાવના મકવાણા નામની એક ઉમેદવારને ગાંધીનગરમાં જ સારવાર અપાઈ રહી છે. ત્યારે આ મામલે અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું જેના પર મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી હતી.
આ પહેલાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઉમેદવારોની તબિયત વિશે માહિતી મેળવી હતી. તો જન અધિકાર મંચના અધ્યક્ષ પ્રવીણ રામ પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રવિણ રામે કહ્યું કે તેઓ ઉપાસકોને પારણાં કરાવવા પહોંચ્યા હતા. પરંતું જ્યાં સુધી માગણીઓ પુરી નહીં થાય ત્યાં સુધી પારણા ન કરવાની ઉમદવારોએ વાત કહી હતી.
SC, ST, OBC વિરૂદ્ધની સરકારઃ અમિત ચાવડા
LRD મુદ્દે ચાલી રહેલા આંદોલન મામલે ફરી રાજકારણ ગરમાયું છે. આંદોલનકારીઓની તબિયત લથડતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે, આ સરકાર ગરીબ, SC, ST, OBC વિરૂદ્ધની સરકાર છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપતા કહ્યું કે સરકાર સંવેદનશીલ છે. કાયદાકીય રીતે મુદ્દાનો ઉકેલ આવશે. કોંગ્રેસ લાભ કાઢવા હવાતિયા મારી રહી છે.
અમારો પ્રયત્ન છે કે આનો રસ્તો નીકળે અને ન્યાય મળેઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ રાજકીય લાભ માટે દરેક વખતની જેમ છલાંગ લગાવે છે. પરીક્ષા વખતે પણ કોંગ્રેસ હરખપડુંડા થઈને દોડી ગયા હતા. સરકાર આ મુદ્દે કાયદાકીય રીતે પ્રશ્નોનું નિરાકરણ લાવશે. અલગ અલગ સુપ્રીમના જજમેન્ટ જોવામા આવી રહ્યા છે. અમારો પ્રયત્ન છે કે આનો રસ્તો નીકળે અને ન્યાય મળે. સરકાર કોઈ ને અન્યાય નહીં થવા દે. રસ્તા કાઢવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે. કોંગ્રેસના લાભ કાઢવા હવાતિયાં મારી રહી છે. કોંગ્રેસની કોઈપણ મુરાદ પૂરી થવાની નથી. 17000 પોલીસ કર્મીની ભરતી કરી તેમાં પણ સ્પષ્ટ કામ થયું છે.