વધી રહેલી મોંઘવારી વચ્ચે રસોઈ ગેસ સિલિન્ડરની સબસિડીને લઇ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. અત્યારે એવી અટકળોએ જોર પકડ્યુ છે કે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1000નો આંકડો પાર કરી જશે. LPG સિલિન્ડરના વધી રહેલા ભાવને લઇ સરકારનો પક્ષ હજી સામે આવ્યો નથી.
રસોઈ ગેસ સિલિન્ડરને લઇ મોટા સમાચાર સામે આવ્યાં
મોંઘવારીથી બચવા સરકાર LPG પર ખાસ બનાવશે યોજના
10 લાખ રૂપિયા સુધીના આવકના નિયમને લાગુ કરાશે
ગ્રાહકો એક સિલિન્ડર માટે 1000 રૂપિયા આપવા તૈયાર
આ મહિને પણ રસોઈ ગેસ અને કોમર્શિયલ ગેસના ભાવ વધ્યાં છે. પરંતુ સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં ઈશારો મળી રહ્યો છે કે ગ્રાહકો એક સિલિન્ડર માટે 1000 રૂપિયા આપવા તૈયાર છે. સુત્રો મુજબ, એલપીજી સિલિન્ડર પર સરકાર બે પ્રકારના નિર્ણય લઇ શકે છે. પ્રથમ કે સરકાર સબસિડી વગરના સિલિન્ડર સપ્લાય કરે. જ્યારે અમુક નક્કી કરેલા ગ્રાહકોને પણ સબસિડીનો લાભ આપવામાં આવે.
સબસિડી પર શું સરકારનો પ્લાન છે ?
સબસિડી આપવા અંગે સરકાર તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ હાલમાં મળેલી માહિતી મુજબ, 10 લાખ રૂપિયા સુધીના આવકના નિયમને લાગુ કરવામાં આવશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. મહત્વનું છે કે, અન્ય લોકો માટે સબસિડી ખત્મ થઇ શકે છે.
અત્યારે કેવીરીતે મળે છે સબસિડી?
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક મહિનાથી અમુક સ્થાનો પર એલપીજી સબસિડી બંધ છે અને આ નિયમ મે 2020થી ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોરોના મહામારી દરમ્યાન ક્રૂડ ઓઈલ અને ગેસની કિંમતોમાં સતત ઘટાડો આવ્યો છે. ત્યારબાદ આ પગલું ઉપાડવામાં આવ્યું છે. જોકે, સરકારે અત્યારે એલપીજી સિલિન્ડર પર સંપૂર્ણ રીતે સબસિડી બંધ કરી નથી.
સબસિડી પર સરકારનો ખર્ચ
સબસિડી પર સરકારનો ખર્ચ નાણાંકીય વર્ષ 2021 દરમ્યાન 3559 રૂપિયા રહ્યો. નાણાંકીય વર્ષ 2020માં આ ખર્ચ 24,468 કરોડ રૂપિયાનો હતો. આ ડીબીટી સ્કીમ હેઠળ છે, જેની શરૂઆત જાન્યુઆરી 2015માં કરવામાં આવી હતી. જે હેઠળ ગ્રાહકોને સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના પૂરા રૂપિયા ચૂકવવાના થાય છે. જ્યારે સરકાર તરફથી સબસિડીના રૂપિયા ગ્રાહકના બેંક ખાતામાં રિફંડ કરી દેવામાં આવે છે. કારણકે આ રિફંડ ડાયરેક્ટ થાય છે અને તેથી સ્કીમનું નામ DBTL રાખ્યું છે.