પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયુ છે. તે ધીમે ધીમે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેને લઈને સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 જૂનથી વાતાવરણમાં પલટો થવાની શક્યતા છે. આ ઉપરાંત 12 અને 13ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબસાગરના વાતાવરણમાં પલટો
અરબસાગરના વાતાવરણમાં પલટો આવતા તંત્ર એલર્ટ થયુ છે. ત્યારે ફિશરીજ વિભાગ દ્વારા દરિયાની બોટને પરત લાવવાના આદેશ આપવામાં આવ્યા છે. અરબ સાગરના વાતાવરણમાં પલટાને લઈને અમરેલીના જાફરાબાદ બંદરે 750 જેટલી બોટો પરત આવી છે.
મહત્વનું છે કે, હાલમાં અરબસાગરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા હવામાન વિભાગ દ્વારા દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે હવે ફિશરીઝ વિભાગ દ્વારા 10 જૂન સુધી તમામ બોટ પરત લાવવાના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં અમરેલીના જાફરાબાદમાં 800માંથી 750 જેટલી બોટો પરત ફરી છે.
અંબાલાલ પટેલે ગુજરાતના ચોમાસાની કરી છે આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે સાથે પાણીની સમસ્યા સર્જાઈ છે. ત્યારે ચોમાસાને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં ચોમાસું સારૂ રહેશે તેવા અણસાર દેખાઈ રહ્યા હોવાની વાત તેમણે કરી છે.
તો જૂનના અંતમાં અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે તેવી વાત તેમણે કરી છે. તેમજ મધ્ય અરબ સાગરમાં 8 જૂને ડિપ્રેશન બનશે અને ડિપ્રેશન 14 જૂન સુધીમાં ચક્રવાતમાં ફેરવાશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
આ ઉપરાંત ચક્રવાત ફંટાઈ જાય તો ચોમાસામાં વધુ વિલંબ નહિ થાય તેવી આગાહી પણ તેમણે કરી છે. તો મુંબઈમાં 15 થી 20 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થશે. જ્યારે દક્ષિણ મહારાષ્ટ્ર મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદના ઝાપટા પડશે. તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 21થી 26માં વરસાદ થવાની સંભાવના હોવાની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે.