શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે બાર દિવસ પહેલાં પ્રેમલગ્ન કરનાર યુવકને ઉત્તમનગર ગાર્ડન પાસે બોલાવીને તેના સાસરિયા પક્ષે ભેગાં મળી માર માર્યો હતો. યુવકને માઠું લાગતાં તેણે એસિડ લેતાં આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
મણિનગરમાં હરિપુરામાં રહેતા હિતેશ ચુનારાએ સાસરિયા પક્ષ વિરુદ્ધમાં માનસિક ત્રાસ અને માર માર્યાની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે હિતેશને મણિનગર વિસ્તારમાં રહેતી કોકિલા ચુનારા સાથે પ્રેમસંબંધ હોવાથી બન્નેએ બાર દિવસ પહેલાં કોર્ટ મેરેજ કરી લીધાં હતાં. બન્નેએ પ્રેમલગ્ન કરી લેતાં યુવતીનાં પરિવારજનોને તે પસંદ ન હતાં. બે દિવસ પહેલાં સાસરિયા પક્ષે યુવક અને યુવતીને ઉત્તમનગર ગાર્ડન પાસે બોલાવ્યાં હતાં.
તે સમયે યુવતીની માતા ટેમ્પાબહેન તેમજ સરોજબહેન અને નણંદના બે દીકરા સાથે મળવા માટે આવ્યાં હતાં. સાસિરયા પક્ષના તમામે ભેગાં થઈ કોકિલા સાથે લગ્ન કેમ કર્યાં તેમ કહીને બીભત્સ ગાળો બોલીને યુવકને ઢોર માર માર્યો હતો અને તેને માનસિક ત્રાસ આપતાં હતાં, જેથી યુવક મોકો જોઈને ત્યાંથી છટકીને બહેનના ઘરે જતો રહ્યો હતો.
ત્યારબાદ યુવકે ઘરે ગયા બાદ સાસરિયા પક્ષના લોકોએ માર મારતાં તેને મનમાં લાગી આવ્યું હતું અને ઘરમાં રહેલ એસિડ પી લીધો હતો. ત્યારબાદ યુવકનાં બહેન અને બનેવી દ્વારા તેને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનો જીવ બચી ગયો હતો અને યુવકે તેના સાસરિયા પક્ષ વિરુદ્ધમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મણિનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.