ગૃહમંત્રી પ્રદીપસિંહે આ અંગે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસની માનસિકતા છતી થાય છે. બિલ ફાડીને મારી લાગણીને ઠેસ પહોંચાડી છે. ઇમરાન ખેડાવાલા સમક્ષ પગલાં લેવા માગ કરવામાં આવી રહી છે.
પરેશ ધાનાણીની ગૃહમાં આ અંગે રજૂઆત કરી હતી અને જણાવ્યું હતુ કે, અશોક ભટ્ટ વિપક્ષમાં હતા ત્યારે અનેક વખત બિલ ફાડ્યા છે. આ બિલ માત્ર મુસદ્દો છે, હજુ બિલ મંજૂર નથી થયું. શૈલેષ પરમારે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, આ બિલ તમે પબ્લિસિટી માટે લાવ્યા છો. તમે ધારાસાભ્યના અધિકાર કેવી રીતે દબાવી શકો? તેમ પણ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે ધારાસભ્યના અધિકારને ન દબાવી શકો?
શું કહ્યુ હતુ પ્રદિપસિંહ જાડેજાએ?
હવે ગુજરાતમાં પણ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનશે. વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યુ છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહે ગૃહમાં બિલ રજૂ કર્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે, દીકરી તો પારકી થાપણ કહેવાય, જેહાદીના હાથમાં ન જવી જોઈએ. કાળજાના કટકા સમાન દીકરીને આ હિંદુ સમાજ માન છે. જેહાદીઓના હાથમાં જતી દીકરીને અટકાવવા કાયદો લાવ્યા છીએ. આ અમારો કોઈ રાજકીય એજન્ડા નથી. દીકરીઓની રક્ષા કરવી અમારી ફરજ છે. ધર્માંતરણના આધાર પર આતંકી પ્રવૃત્તિ સાથે જોડાવાનું ષડયંત્ર છે.
પ્રેમ સાથે છેડછાડ કરનારનો વિનાશ થાય : ધાનાણી
ગૃહમંત્રી નિવેદન પર પરેશ ધાનાણીએ પણ વિરોધ કરતા કહ્યુ હતુ કે, 1954માં સંસદમાં સ્પેશિયલ મેરેજ એક્ટ લાગુ કર્યો છે. લવ જેહાદ શબ્દ વર્ષોથી સાંભળતો આવ્યો છું. કોઈને પણ વિશ્વાસઘાત કરવાનો હક નથી. ગામડાની મહિલાઓ તળપદી ભાષામાં બોલે છે જેહાદ એટલે ઝુંબેશ. પ્રેમના સીમાડા નથી હોતા, પ્રેમ એ પ્રકૃતિ છે. પ્રેમ સાથે છેડછાડ કરનારનો વિનાશ થાય છે.