ગુજરાતમાં લવજેહાદના 2 કિસ્સા બાદ આ ભાજપના ધારાસભ્ય અને સાંસદે દ્વારા લવજેહાદના કાયદાની માંગ કરવામાં આવી રહી છે. આવો જાણીએ શું છે મામલો?
ગુજરાતમાં લવ જેહાદ કાયદાની માગ ઉગ્ર બની
ભાજપના સાંસદે લવ જેહાદ કાયદાની કરી માગ
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે લવ જેહાદ કાયદાની કરી માગ
ગુજરાતમાં લવ જેહાદના બે કિસ્સા બનતા ખળભળાટ મચી ગયો છે. વડોદરામાં આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી ઘમાસાણ મચ્યુ છે. એક બ્રાહ્મણની દીકરીને મુંબઈ લઈ જઈ ધર્મપરિવર્તન કરીને લવ મેરેજ કરાવવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
શું કહે છે સાંસદ રંજનબેન ભટ્ટ
સાસંદ રંડજબેન ભટ્ટે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં લવજેહાદનો કાયદો લાવવો જ જોઈએ. સંસ્કારી નગરી વડોદરામાં દીકરીઓને પટાવી ફોસલાવીને લઈ જઈને પરિવર્તન કરવામાં આવે છે તે ખોટુ છે. હવે આ દીકરી સમજી ગઈ છે. બે દિવસથી હું પણ આ દીકરીને સમજાવું છું અને એ પણ સમજી ગઈ છે કે જે તેનાથી થયું તે ખોટુ થયુ છે. લવજેહાદના કાયદાથી હિન્દુ દીકરીઓને થતો અન્યાય ઘટાડી શકાશે. મુખ્યમંત્રીશ્રીને અમે આ અંગે જરૂર જણાવીશું.
ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં લવ જેહાદના મામલા સામે આવ્યા બાદ યોગી સરકારે લવ જેહાદ વિરુદ્ધ કાયદો જાહેર કર્યો હતો. હવે યોગી કેબિનેટે પણ આ કાયદાને મંજૂરી આપી દીધી છે.
લવ જેહાદ અંગે યુપી કાયદામાં શું છે?
યુ.પી. સામે પ્રોહિબિશન ઓર્ડિનન્સ 2020
છેતરપિંડી અથવા લોભ દ્વારા લગ્ન કરાવવું એ ગુનો છે
લગ્ન પછી બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા બદલ સજા
દોષિતોને 5 થી 10 વર્ષની સજાની જોગવાઈ
રાજ્યપાલે આપી અધ્યાદેશને મંજૂરી
ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે 24 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર અધ્યાદેશને મંજૂરી આપી હતી. આ બાદ આને રાજ્યપાલની પાસે પારિત કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. રાજ્યપાલ આનંદીબહેન પટેલે આજે આ અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. અધ્યાદેશમાં જણાવ્યાનુંસાર છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવવા પર 10 વર્ષની સજા થશે, આ ઉપરાંત સહમતિથી ધર્મ પરિવર્તન માટે જિલ્લાધિકારીને 2 મહિના પહેલા સૂચના આપવાની રહેશે.
નિયમ તોડવા પર થશે આટલી સજા
આ પ્રપત્રનું ઉલંઘન કરનારને થશે ઓછામાં ઓછી 6 મહિનાની અને વધુંમાં વધુ 3 વર્ષની જેલની સજા. સાથે ઓછામાં ઓછી 10 હજાર રુપિયાનો દંડ પણ લગાવવામાં આવશે. ત્યારે અનેક ધાર્મિક પુજારી, મૌલવી વગેરે જો પોતાના પ્રપત્રનું ઉલંઘન કરશે તે તેમને ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધું 5 વર્ષની સજા થઈ શકે છે. ત્યારે ઓછામાં ઓછા 25 હજાર રુપિયાનો દંડ લગાવી શકાય છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન લોકુરે એક લેક્ચર દરમિયાન કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હાલમાં જ પસાર થયેલા અધ્યાદેશ દુર્ભાગ્યપૂર્ણ છે. જેમાં જબરજસ્તી, વિશ્વાસઘાત અથવા છેતરીને કે ફોસલાવીને ધર્માંતરણ કરી લગ્ન કરાવવાની વાત કરવામાં આવી છે. એવું એટલા માટે છે કે આ અધ્યાદેશ પસંદગીની આઝાદી, ગરિમા અને માનવાધિકારોને અનદેખી કરે છે. મદન લોકુરે કહ્યું કે આ ધર્માંતરણ સંબંધીત લગ્નોની વિરુદ્ધ આ કાયદો સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલી પસંદગીની આઝાદી અને વ્યક્તિની ગરિમાની રક્ષા માટે વિકસિત કરવામાં આવેલા ન્યાયશાસ્ત્રનું ઉલંઘન છે.
પોતાની પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે
તેમણે 2018માં હાદિયા કેસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હાદિયા કેસમાં 2018માં સુપ્રીમ કોર્ટ તરફી આપવામાં આવેલો આદેશ શુ હતો. તેમણે કહ્યું કે એક મહિલા પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કરી ઈસ્લામ અપનાવી શકે છે અને પોતાની પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે.
લવ જેહાદ શું છે?
લવ જેહાદની કથિત પરિભાષ કંઈક એવી છે કે મુસ્લિમ યુવક બિન મુસ્લિમ યુવતીને પ્રેમના જાળમાં ફસાવે છે. જે બાદ તેનું ધર્મ પરિવર્તન કરીને તેની સાથે લગ્ન કરે છે.
2009માં આ શબ્દ ઘણો જ પ્રચલિત થયો હતો. કેરળ અને કર્ણાટકથી જ આ શબ્દ રાષ્ટ્રીય સ્તરે આવ્યો. જે બાદ UK અને પાકિસ્તાન સુધી પહોંચ્યો.
તિરુવનંતપુરમ (કેરળ)માં સપ્ટેમ્બર 2009માં શ્રીરામ સેનાએ લવ જેહાદ વિરૂદ્ધ પોસ્ટર્સ લગાવ્યા હતા. ઓક્ટોબર 2009માં કર્ણાટક સરકારે લવ જેહાદને ગંભીર મુદ્દો ગણાવતા CID તપાસના આદેશ આપ્યા કે જેથી તેની પાછળ સંગઠિત ષડયંત્રની ભાળ મેળવી શકાય.
સુપ્રીમ કોર્ટે આ મામલે NIAની તપાસ પણ કરાવી હતી, જ્યારે એક હિંદુ યુવતીએ મુસ્લિમ પ્રેમી સાથે લગ્યા કરવા માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. યુવતીના પિતાએ યુવક પર દીકરીને આતંકી સંગઠનમાં સામેલ થવા માટે ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે તપાસમાં કંઈ બહાર ન આવ્યું અને યુવતીએ પોતે જ સુપ્રીમ કોર્ટમાં જઈને પોતાની પ્રેમ કહાની વર્ણવી હતી.
હાલ અચાનક લવ જેહાદ પર કાયદાની ચર્ચા કેમ થઈ રહી છે?
અલ્હાબાદ હાઈકોર્ટે 29 સપ્ટેમ્બરે નવપરણિત દંપતીને પોલીસ સુરક્ષા આપવાનો ઈનકાર કરી દીધો હતો. મહિલા જન્મથી મુસ્લિમ હતી અને તેને 31 જુલાઈએ પોતાના લગ્નના એક મહિલા પહેલાં હિંદુ ધર્મ અપનાવ્યો હતો.
હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના એક આદેશનો અહેવાલ ટાંકતા કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિને તે ધર્મ અંગે કોઈ જ જાણકારી નથી કે તેના પર તેનો વિશ્વાસ પણ નથી તો માત્ર લગ્ન માટે તેના ધર્મ પરિવર્તનને સ્વીકારી ન શકાય.
કેન્દ્ર સરકારનું લવ જેહાદ અંગે શું કહેવું છે?
ફેબ્રુઆરીમાં સાંસદ બેન્ની બેહનને લોકસભામાં સરકારને પૂછ્યું હતું કે કેરળમાં લવ જેહાદના મામલાઓ અંગે તેમનું શું કહેવું છે? શું તેઓએ આવા કોઈ કેસની તપાસ કરી છે?
જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 25 લોક વ્યવસ્થા, સદાચાર અને સ્વાસ્થ્યના શર્તાધીન ધર્મને અપનાવવા, તેનું પાલન કરવા અને તેના પ્રસાર કરવાની મંજૂરી આપે છે.એમ પણ કહ્યું કે હાલના કાયદામાં લવ જેહાદ શબ્દને પરિભાષિત નથી કરવામાં આવ્યો. કોઈ પણ કેન્દ્રીય એજન્સીએ લવ જેહાદના કોઈ મામલાની જાણકારી આપી નથી. NIAએ કેરળમાં આંતરધર્મ લગ્નના બે મામલાની તપાસ કરી છે.
સુપ્રીમ કોર્ટ ધર્મ પરિવર્તન અંગે શું કહે છે?
ભારતના બંધારણના આર્ટિકલ-25 મુજબ ભારતમાં પ્રત્યેક વ્યક્તિને કોઈ પણ ધર્મ માનવાની, આચરણ કરવાની તથા ધર્મ પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. આ અધિકાર તમામ ધર્મોના નાગરિકોને સમાંતર દરે મળે છે.
કોર્ટે અંતઃકરણ કે કોન્શિયન્સની વ્યખ્યા પણ ધાર્મિક આઝાદીથી સ્વતંત્ર રીતે કરી છે. એટલે કોઈ વ્યક્તિ નાસ્તિક છે, તો તેને પોતાના કોન્શિયન્સથી આ પ્રકારનો અધિકાર છે. તેને કોઈ પરાણે કોઈ પણ ધર્મનું પાલન કરવાનું ન કહી શકે.
સુપ્રીમ કોર્ટની બંધારણ બેંચે 1975માં ધર્મ પરિવર્તનના મુદ્દે આ અંગેની સુયોગ્ય રીતે વ્યાખ્યા કરી છે. આમ તો, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાની હાઈકોર્ટે ધર્મ પરિવર્તન વિરૂદ્ધ બનેલા કાયદા પર અલગ અલગ ચુકાદાઓ સંભળાવ્યા હતા.
મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો તો તેઓએ મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદાનું સમર્થન કર્યું અને કહ્યું કે દગાથી, લાલચ કે દબાણ કરીને ધર્મ પરિવર્તન કરાવવું તે વ્યક્તિન કોન્શિયન્સના અધિકારોનું ઉલ્લંઘન છે. તેને પોતાની કોન્શિયન્સ વિરૂદ્ધ જઈને કંઈ પણ કરવા માટે મજબૂર ન કરી શકાય.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે પબ્લિક ઓર્ડરને બનાવી રાખવાનો રાજ્યોનો અધિકાર છે. પરાણે ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે તો તે વાત કાયદો વ્યવસ્થા માટે ખતરારૂપ છે. રાજ્ય પોતાની વિવેકથી કાયદા-વ્યવસ્થા કાયમ રાખવા માટે આવશ્યક કાયદો બનાવી શકે છે.
શું રાજ્યમાં લવ જેહાદ વિરૂદ્ધ કાયદો શક્ય છે?
આ મામલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સ્પષ્ટ કરી ચુક્યા છે ધર્મ પરિવર્તન સ્વેચ્છાથી અને વગર કોઈ લાલચે કે લાભ વગરનો હોવો જોઈએ. આ વાતને આધાર બનાવીને ભાજપ શાસિત ચાર રાજ્ય પ્રેમ અને લગ્નના બહાને કોઈ વ્યક્તિ કે ઈસ્લામ કે કોઈ અન્ય ધર્મમાં પરિવર્તન વિરૂદ્ધ કાયદો બનાવવાની વાત કરી રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટના આદેશને જોતા સ્પષ્ટ છે કે કાયદો-વ્યવસ્થા બનાવી રાખવા રાજ્ય સરકારની જવાબદારી છે. જો રાજ્ય તે પુરવાર કરે કે કાયદા-વ્યવસ્થાને બનાવી રાખવા માટે લવ જેહાદ વિરૂદ્ધ કાયદો જરૂરી છે તે તેઓ બનાવી પણ શકે છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ 1975નું વલણ અપનાવે છે કે કે કોઈ નવી વ્યવસ્થા ઊભી કરે છે, તે ભવિષ્યમાં સ્પષ્ટ થશે.