ગુજરાતમાં લોભ-લાલચ,બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવાય નહીં. આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય( સુધારા) અધિનિયમ-2003 રજૂ કરાયુ હતું અને સીએમ રૂપાણીએ કાયદો 15 જૂનથી લાગું કરવા જાહેરાત કરી હતી.
કપટ, બળપૂર્વક અથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં
ઉલ્લેખનીય છે કે, આ કાયદામાં સુધારા સાથે એવી જોગવાઇ કરાઇ છે કે, માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલાં લગ્ન ફેમીલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. કોઇપણ વ્યક્તિ કપટ, બળપૂર્વક અથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં.
ગુનેગારને કડક સજા થશે
આ ગુનામાં મદદ કરનાર કે સલાહ આપનારને પણ સમાન પ્રકારે દોષિત ગણવામાં આવશે. આ કાયદા હેઠળ ગુનેગારને ચારથી માંડીને સાત વર્ષની કેદ ઉપરાંત ત્રણ લાખ સુધીની દંડ થશે.
ધારાસભ્યોએ કરી હતી રજૂઆત
ગુજરાતમાં વડોદરા સહિત અન્ય વિસ્તારમાં બળજબરીથી લગ્ન કરાવી ધર્મ પરિવર્તનના કિસ્સા વધતાં ખુદ ભાજપના ધારાસભ્યોએ જ સરકારમાં રજૂઆત કરી હતી જેના પગલે યુપીની જેમ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે.
લવ જેહાદ શું છે?
લવ જેહાદની કથિત પરિભાષ કંઈક એવી છે કે મુસ્લિમ યુવક બિન મુસ્લિમ યુવતીને પ્રેમના જાળમાં ફસાવે છે. જે બાદ તેનું ધર્મ પરિવર્તન કરીને તેની સાથે લગ્ન કરે છે.
2009માં આ શબ્દ ઘણો જ પ્રચલિત થયો હતો. કેરળ અને કર્ણાટકથી જ આ શબ્દ રાષ્ટ્રીય સ્તરે આવ્યો. જે બાદ UK અને પાકિસ્તાન સુધી પહોંચ્યો.
તિરુવનંતપુરમ (કેરળ)માં સપ્ટેમ્બર 2009માં શ્રીરામ સેનાએ લવ જેહાદ વિરૂદ્ધ પોસ્ટર્સ લગાવ્યા હતા. ઓક્ટોબર 2009માં કર્ણાટક સરકારે લવ જેહાદને ગંભીર મુદ્દો ગણાવતા CID તપાસના આદેશ આપ્યા કે જેથી તેની પાછળ સંગઠિત ષડયંત્રની ભાળ મેળવી શકાય.
સુપ્રીમ કોર્ટે આ મામલે NIAની તપાસ પણ કરાવી હતી, જ્યારે એક હિંદુ યુવતીએ મુસ્લિમ પ્રેમી સાથે લગ્યા કરવા માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. યુવતીના પિતાએ યુવક પર દીકરીને આતંકી સંગઠનમાં સામેલ થવા માટે ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે તપાસમાં કંઈ બહાર ન આવ્યું અને યુવતીએ પોતે જ સુપ્રીમ કોર્ટમાં જઈને પોતાની પ્રેમ કહાની વર્ણવી હતી.
કોણ કરી શકશે ફરિયાદ
સ્ત્રી પક્ષના લોહી સબંધના સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશેગુનાની તપાસ જિલ્લા પોલીસ વડા અને DYSP કરશે જેમાં 3 થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે. લવજેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને 2 લાખનો દંડ થશે જ્યારે સગીર, SC STની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષ કેદ અને 3 લાખનો દંડ થશે.
કેન્દ્ર સરકારનું લવ જેહાદ અંગે શું કહેવું છે?
ફેબ્રુઆરીમાં સાંસદ બેન્ની બેહનને લોકસભામાં સરકારને પૂછ્યું હતું કે કેરળમાં લવ જેહાદના મામલાઓ અંગે તેમનું શું કહેવું છે? શું તેઓએ આવા કોઈ કેસની તપાસ કરી છે?
જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 25 લોક વ્યવસ્થા, સદાચાર અને સ્વાસ્થ્યના શર્તાધીન ધર્મને અપનાવવા, તેનું પાલન કરવા અને તેના પ્રસાર કરવાની મંજૂરી આપે છે.એમ પણ કહ્યું કે હાલના કાયદામાં લવ જેહાદ શબ્દને પરિભાષિત નથી કરવામાં આવ્યો. કોઈ પણ કેન્દ્રીય એજન્સીએ લવ જેહાદના કોઈ મામલાની જાણકારી આપી નથી. NIAએ કેરળમાં આંતરધર્મ લગ્નના બે મામલાની તપાસ કરી છે.
સુપ્રીમ કોર્ટ ધર્મ પરિવર્તન અંગે શું કહે છે?
ભારતના બંધારણના આર્ટિકલ-25 મુજબ ભારતમાં પ્રત્યેક વ્યક્તિને કોઈ પણ ધર્મ માનવાની, આચરણ કરવાની તથા ધર્મ પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. આ અધિકાર તમામ ધર્મોના નાગરિકોને સમાંતર દરે મળે છે.
કોર્ટે અંતઃકરણ કે કોન્શિયન્સની વ્યખ્યા પણ ધાર્મિક આઝાદીથી સ્વતંત્ર રીતે કરી છે. એટલે કોઈ વ્યક્તિ નાસ્તિક છે, તો તેને પોતાના કોન્શિયન્સથી આ પ્રકારનો અધિકાર છે. તેને કોઈ પરાણે કોઈ પણ ધર્મનું પાલન કરવાનું ન કહી શકે.
સુપ્રીમ કોર્ટની બંધારણ બેંચે 1975માં ધર્મ પરિવર્તનના મુદ્દે આ અંગેની સુયોગ્ય રીતે વ્યાખ્યા કરી છે. આમ તો, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાની હાઈકોર્ટે ધર્મ પરિવર્તન વિરૂદ્ધ બનેલા કાયદા પર અલગ અલગ ચુકાદાઓ સંભળાવ્યા હતા.
મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો તો તેઓએ મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદાનું સમર્થન કર્યું અને કહ્યું કે દગાથી, લાલચ કે દબાણ કરીને ધર્મ પરિવર્તન કરાવવું તે વ્યક્તિન કોન્શિયન્સના અધિકારોનું ઉલ્લંઘન છે. તેને પોતાની કોન્શિયન્સ વિરૂદ્ધ જઈને કંઈ પણ કરવા માટે મજબૂર ન કરી શકાય.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે પબ્લિક ઓર્ડરને બનાવી રાખવાનો રાજ્યોનો અધિકાર છે. પરાણે ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે તો તે વાત કાયદો વ્યવસ્થા માટે ખતરારૂપ છે. રાજ્ય પોતાની વિવેકથી કાયદા-વ્યવસ્થા કાયમ રાખવા માટે આવશ્યક કાયદો બનાવી શકે છે.
કાયદામાં શું જોગવાઇઓ છે?
કાયદામાં આરોપીને 4થી 7 વર્ષની કેદ ઉપરાંત દંડ
2 લાખથી ઓછા નહીં એટલા દંડની જોગવાઇ
સગીર અને SC-ST સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જેલ
સગીર,SC-ST સ્ત્રી સાથેના ગુનામાં 3 લાખથી ઓછીં નહીં એટલો દંડ
લગ્ન કરાવનાર સંસ્થા-સંગઠનો સામે પણ લેવાશે પગલાં
સંસ્થા-સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા,5 લાખનો દંડ
અધિનિયમ 2003ના 22માં અધિનિયમની કલમમાં સુધારો
બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ
સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગણાશે ગુનો
લગ્ન કરનાર-કરાવનારા વિરૂદ્ધ થશે કાયદેસર કાર્યવાહી
સ્ત્રી સાથે લોહીનો સબંધ ધરાવતા સંબંધી ફરિયાદ કરી શકશે