છેલ્લાં કેટલાંય સમયથી દેશમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ વચ્ચે આજે અલ્હાબાદ હાઇકોર્ટે સૌથી મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે.
લાઉડસ્પીકર વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
અઝાન માટે મસ્જિદમાં લાઉડસ્પીકરનો ઉપયોગ તમારો મૂળભૂતઅધિકાર નથી: HC
UPમાં મંદિરો-મસ્જિદોમાંથી 1 લાખથી વધુ લાઉડસ્પીકરોને હટાવી દેવાયા છે
અલ્હાબાદ હાઈકોર્ટે લાઉડસ્પીકર મામલે મહત્વનો નિર્ણય આપ્યો છે. જેમાં હાઈકોર્ટે કહ્યું કે, 'અઝાન માટે મસ્જિદમાં લાઉડસ્પીકરનો ઉપયોગ એ તમારો મૂળભૂત અધિકાર નથી. લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દેતા અલ્હાબાદ હાઈકોર્ટે અવલોકન કર્યું કે, લાઉડસ્પીકરને મંજૂરી આપવા માટે અન્ય કોઈ આધારભૂત આધાર આપવામાં આવ્યા નથી. એ સિવાય કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે. કોર્ટે અરજીમાં કરેલી માંગણીને ખોટી ગણાવીને અરજીને ફગાવી દીધી છે.
UPમાં મંદિરો-મસ્જિદોમાંથી 1 લાખથી વધુ લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા
ઉત્તર પ્રદેશમાં મંદિરો-મસ્જિદોમાંથી 1 લાખથી વધુ લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે. રાજ્યમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાની પ્રક્રિયા વચ્ચે કોર્ટનો આ મહત્વનો નિર્ણય આવ્યો છે.
SDMના નિર્ણયને પડકાર ફેંકવામાં આવ્યો હતો
બદાઉનના SDM દ્વારા લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી અરજીને બરતરફ કરવાને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. લોકોએ SDM પાસે જઈને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી, જેને SDMએ નકારી કાઢી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, લાઉડસ્પીકર વગાડવાને મૂળભૂત અધિકાર હેઠળ મંજૂરી આપવી જોઈએ. તમને જણાવી દઇએ કે, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વિવેક કુમાર બિરલા અને જસ્ટિસ વિકાસ ડિવિઝન બેંચમાં આ અંગે સુનાવણી થઈ હતી.
જાણો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન શું કહે છે?
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં એવું કહેવાયું છે કે રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવો જોઈએ. જો કે, તે ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનિટી અને બેન્ક્વેટ હોલ જેવાં બંધ સ્થળોએ ચાલુ રાખી શકાય છે. લાઉડસ્પીકરના ઉપયોગ અંગે બંધારણમાં ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો, 2000 માં આ જોગવાઈ છે.
રાજ્ય સરકારો આપી શકે છે છૂટછાટ
જો રાજ્ય સરકાર ઇચ્છે તો કેટલાંક પ્રસંગોમાં આ મામલે છૂટછાટ આપી શકે છે. રાજ્ય સરકાર કોઈ પણ સંસ્થા કે ધાર્મિક કાર્યક્રમ માટે લાઉડસ્પીકર કે અન્ય કોઇ પણ પ્રકારના વાદ્યો વગાડવાની પરવાનગીને રાતના 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વધારી શકે છે. જો કે, આવી પરવાનગી વર્ષમાં 15 દિવસ માટે જ આપી શકાય છે. જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં 54 હજારથી વધુ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે અને 60 હજાર લાઉડસ્પીકરનો અવાજ પણ ઓછો કરી દેવામાં આવ્યો છે.