ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠાનાં આદિવાસી વિસ્તાર અમીરગઢમાં પીવાનાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. અમીરગઢ પંથકમાં પાણી માટે હેડપંપનો સૌથી વધારે ઉપયોગ થાય છે. પરંતુ ગયા વર્ષે નહિવત વરસાદનાં કારણે મોટાભાગનાં હેડપમ્પમાંથી પાણી આવતું બંધ થઈ ગયું છે. ત્યારે હેડ પંપો બંધ હાલતમાં હોવાથી પીવાનાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે જેના કારણે મહિલાઓને દૂર સુધી માથે બેડા ઉપાડીને પાણી લેવા જવા માટે મજબૂર બની છે.
બનાસકાંઠાનાં અમીરગઢ તાલુકામાં 70 ગામો આવેલાં છે. જો કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આદિવાસી લોકો વસે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા અમીરગઢ તાલુકાનાં ગામોમાં 2400 જેટલા હેડપમ્પ નાખવામાં આવ્યાં છે. જો કે ઉનાળાની શરૂઆતમાં જ મોટાભાગનાં હેડપમ્પ બંધ હાલતમાં હોવાથી આ વિસ્તારનાં લોકોને પીવાનાં પાણીની મોટી સમસ્યા ઉભી થઇ છે. પીવાનું પાણી ન મળતાં લોકો પાણી મેળવવા માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવા મજબૂર બન્યાં છે. જો કે હેડપમ્પનાં સહારે રહેનારા આ વિસ્તારનાં લોકો બંધ હેડપમ્પ સામે જોઇને નિશાશા નાખી રહ્યાં છે.
અમીરગઢ પંથકનાં મોટાભાગનાં ગામોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે ત્યારે આ વિસ્તારમાં પાણીનાં સ્ત્રોતમાં હેડપમ્પ બંધ હાલતમાં હોવાથી લોકોને પીવાનું પાણી નથી મળતું તો વળી પાણી વગર પશુઓની હાલત કફોડી બની છે. આ વિસ્તારનાં તમામ ગામોમાં આવેલા પશુઓનાં હવાડા બિલકુલ ખાલીખમ હાલતમાં છે તો કેટલાંય હવાડાઓમાં મહિનાઓથી પાણી ન નંખાયા હોવાનાં દ્રશ્યો જોવાં મળી રહ્યાં છે. તેથી પશુઓની સાથે-સાથે પશુપાલકો પણ દુઃખી થઈ રહ્યાં છે.
આદિવાસી વિસ્તારનાં ગામોમાં પાણીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. હેડપમ્પો પાણી વગર નકામા બની જતા લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે ત્યારે દૂર કોઈ હેડપમ્પમાં પાણી આવતું હોય ત્યાં મહિલાઓ પાણી માટે વહેલી સવારથી જ માથે બેડું ઉપાડીને નીકળી જાય છે અને ત્યાં લાંબી લાઈનો લગાવીને પાણી માટે પોતાનો વારો આવવાની રાહ જોવે છે પરંતુ માંડ બે -ચાર કલાકે એકાદ બેડું પાણી મહિલાઓને મળે છે જેનાં કારણે મહિલાઓની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે મહિલાઓ અને સ્થાનિક લોકો સરકાર પાસે માંગ કરી રહ્યાં છે કે તેમને ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે અથવા તો તેમનાં માટે પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.
અમીરગઢ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાને લઈને મહિલાઓ દૂર દૂર સુધી માથે પાણીનાં બેડા લઈને જવા માટે મજબૂર બની છે જે હેડપમ્પ ઉપર પાણી આવે છે ત્યાં આપ જોઈ શકો છો કે મહિલાઓ કેટલી લાંબી લાઈનો લગાવીને ઉભી છે. અમીરગઢ વિસ્તારમાં આવેલાં હેડપંપમાંથી મોટા ભાગનાં હેડપંપો બંધ હોવાંથી પીવાનાં પાણીની સમસ્યા સર્જાઇ હોવાનું પાણી પુરવઠાનાં અધિકારી પણ કબૂલી રહ્યાં છે અને હેડપંપમાં પાણી ન આવવાનું કારણ પાણીનાં તળ ઊંડા જવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. જો કે તંત્ર દ્વારા હવે ટેન્કરોની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
જિલ્લાનાં સરહદી તેમજ અંતરિયાળનાં મોટા ભાગનાં ગામોમાં હાલ પાણીને લઈને પારાયણ જોવા મળી રહ્યું છે ત્યારે પાણીપુરવઠા વિભાગ ટેન્કરો દ્વારા પાણી આપવા તેમજ હેડપંપ રીપેરીંગ કરીને પાણીની સમસ્યા હલ કરવા ના તંત્ર દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે અમીરગઢ પંથકના આદિવાસી લોકોને ક્યારે પાણીની સમસ્યાથી છુટકારો મળે છે.